આસારામ ઇન્દોર આશ્રમમાં જ; મુખ્ય સાક્ષીએ સમર્પણ કર્યું
નવી દિલ્હી, 31 ઓગસ્ટ : કિશોરીના શારીરિક શોષણના આરોપોથી ઘેરાયેલા આધ્યાત્મ ગુરુ પોતાના ઇન્દોર આશ્રમમાં જ હાજર છે. આ અંગેની માહિતી આપતા આસારામના દીકરા નારાયણ સાંઇએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આસારામ પોલીસની બચીને ભાગી રહ્યા નથી. તેઓ સ્વયં પોલીસની રાહ જોઇ રહ્યા છે. તેઓ ઇન્દોરમાં છે અને તેમની તબીયત ઠીક નથી. એક અન્ય ઘટનાક્રમમાં આ કેસના મહત્વના સાક્ષીએ આત્મસમર્પણ કરી દીધું છે.
નારાયણ સાંઇએ જણાવ્યું કે જો પોલીસ બોલાવશે તો તબીયત સારી થતા આસારામ જોધપુર જવા માટે તૈયાર છે. જો પોલીસ ઇન્દોર આવીને તેમની પૂછપરછ કરવા માંગે તો તેના માટે પણ આસારામ બાપુ તૈયાર છે.
બીજી તરફ આ કેસના મુખ્ય સાક્ષી અને આસારામના મુખ્ય સેવક શિવાએ જોધપુર પોલીસ સમક્ષ સમર્પણ કરી દીધું છે. શિવારામ આ કેસમાં મહત્વના સાક્ષી છે. કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે શિવાએ જ પીડિત છોકરીને જોધપુરમાં આસારામને મળવા માટે બોલાવી હતી. પીડિતા અને તેના માતા - પિતાના આવ્યા બાદ સેવક શિવા જ તેમને આસારામને મળવા માટે આશ્રમ લઇને આવ્યો હતો.
આજે દિવસ દરમિયાન આસારામ ઇન્દોરના આશ્રમમાં જ હોવા અંગેના વિરોધાભાસી અહેવાલો આવતા રહ્યા હતા. સવારથી જ ઇન્દોર પોલીસ કહી રહી હતી કે આસારામ ઇન્દોર આશ્રમમાં નથી. આમ છતાં તેમના ભક્તો અને સમર્થકોની ભીડ એકત્ર થવાની શરૂ થઇ ગઇ હતી.
આજના દિવસમાં જોધપુર આશ્રમમાં ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર આસારામ આશ્રમમાં તેમના સમર્થકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મીડિયાકર્મીઓ સાથે મારપીટ ઉપરાંત તેમના માઇક ઝૂંટવી લેવા ઉપરાંત તેમના કેમેરા તોડવામાં આવ્યા હતા. આ હુમલાખોરોમાં મહિલા સમર્થકોનો પણ સમાવેશ થતો હતો. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે 6 સમર્થકોની ધરપડક કરી હતી.
મીડિયા પર થયેલા હુમલા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકારને નિર્દેશ કર્યો છે કે બાકાબૂ બનેલા આસારામના સમર્થકો સામે કડકાઇથી પગલા ભરવામાં આવે.
આ નિર્દેશને પગલે જોધપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. આ સાથે પોલીસે જોધપુર આશ્રમને ખાલી કરાવાનું શરૂ કરી દીધું છે. આશ્રમને સીલ પણ કરી દેવામાં આવ્યો છે. આશ્રમની બહાર પોલીસ દળને તૈનાત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો આશ્રમ બહાર ઉમટી પડ્યા હતા.