બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇ આખરે પોલીસની પકડમાં
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: સુરત બળાત્કાર કેસમાં બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે નારાયણને દિલ્હી-પંજાબની સરહદ પર હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આસારમનો પુત્ર નારાયણ સાઇ છેલ્લા 58 દિવસોથી પોલીસને લદાવી રહ્યો હતો. નારાણય સાઇને ગુજરાત અને દિલ્હી પોલીસની ખાસ ટીમે પકડી પાડ્યો હતો.
સુરત બળાત્કાર કેસમાં ભાગતા ફરતા નારાયણ સાઇની તપાસમાં પોલીસ દેશના દરેક રાજ્યોમાં દરોડા પાડી રહી હતી. લુકાઉટ નોટિસ જારી થયા બાદથી નારાયણ સાઇ પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસને આજે મોટી સફળતા હાથ લાગી છે.
નારાયણની તપાસમાં પોલીસ નેપાળના જનકપુર અને કાઠમાંડૂ સુધી જઇ આવી હતી, પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન્હોતો. આની વચ્ચે ધરપકડથી બચવા માટે નારાયણ સાઇએ સુરત કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ સુનાવણી સતત ટળતી રહી અને નારાયણ સાઇને રાહત મળી નહી.