આસારામ રહેશે જેલમાં જ : જોધપુર કોર્ટે જામીન અરજી ફગાવી
જોધપુર, 5 સપ્ટેમ્બર : બળાત્કારના ગંભીર આક્ષેપનો સામનો કરી રહેલા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આસારામ બાપુને હજુ જેલમાં જ રહેવું પડશે કારણ કે જોધુપરની કોર્ટે બુધવાર 4 સપ્ટેમ્બરે આસારામ બાપુની જામીન અરજીને ફગાવી દીધી હતી.
જોધપુર રૂરલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે જામીન અરજી ફગાવી દીધી હતી. આ જામીન અરજી પર તમામ લોકોની નજર કેન્દ્રિત હતી. આસારામ તરફથી જામીન માટે જોરદાર દલીલો કરવામાં આવી હતી. સગીરા પર બળાત્કારના આક્ષેપોનો સામનો કરી રહેલા આસારામ હાલ જોધપુરની જેલમાં છે.
કોર્ટે અગાઉ 15મી સપ્ટેમ્બર સુધી આસારામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ પ્રોશિક્યુશને આ કેસમાં જામીન અરજીનો વિરોધ કરીને કહ્યુ હતુ કે આસારામને જામીન આપવાની સ્થિતિમાં તપાસને અસર થઈ શકે છે. પ્રોસિક્યુશને કોર્ટમાં કહ્યુ હતુ કે તપાસ દરમિયાન આસારામે પોલીસને લાંચ આપવાના અને પ્રભુત્વ જમાવવાના પ્રયાસ કર્યા હતા.
આ તમામ વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને એવું લાગે છે કે આસારામ જો જામીન મળશે તો તપાસ આડે અડચણ ઉભી કરશે. એડિશનલ એડવોકેટ જનરલ આનંદ પુરોહિતે કહ્યુ હતુકે એફઆઈઆરમાં બે લોકોના નામનો ઉલ્લેખ છે જેમાં શિલ્પી જે છિંદવાડા ગુરુકુલમાં હોસ્ટેલના વોર્ડન છે જ્યારે બીજા સરબ છે જે ગુરુકુળમાં રખેવાળ તરીકે છે. આ બંને ફરાર છે જેથી તપાસને પૂર્ણ કરવા તેમની પુછપરછ જરૂરી છે.
જોધપુરના બદલે દિલ્હીમાં એફઆઈઆર નોંધવાની બાબતને તેઓએ વાજબી ઠેરવી હતી અને કહ્યું હતું કે સગીરાએ જ સૌથી પહેલા તેના માતાપિતાને તેની સાથે શું બન્યુ તે અંગે માહિતી આપી ન હતી. જ્યારે તેમના માતાપિતાને આ બનાવ અંગે માહિતી આપી ત્યારે તેઓ દિલ્હી આવ્યા હતા. દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. પરંતુ મોડેથી આસારામને જામીન આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. આસારામની શનિવારની રાત્રે ઇન્દોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.