આશિષ નંદીને SCએ આપી રાહત, નહીં થાય ધરપકડ
ઉલ્લેખનીય છે કે સમાજશાસ્ત્રી આશિષ નંદી દ્વારા જયપુર લીટરેચર ફેસ્ટીવલમાં દલિતો અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીના પગલે તેમની સામે ઘણાબધા રાજ્યોમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે આશિષ નંદીએ ગુરુવારે પોતાના રક્ષણ માટે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અને તેમની સામેની તમામ ફરિયાદો રદ કરી તેમની ધરપકડ નહી કરવા વિનંતી કરી હતી. અરજીમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સફાઇને ધ્યાનમાં લીધા વગર તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે સુનવણીમાં આશિષ નંદીને રાહત આપતા જણાવ્યું હતું કે પોલીસ તેમની ધરપકડ ના કરે, અને તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવે. જોકે આ અંગે આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'મને ભારતીય ન્યાય સંહિતા પર પૂરેપુરો વિશ્વાસ હતો. અને હવે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે અને મારા મિત્રોની સલાહ પ્રમાણે આવા નિવેદનો નહીં કરું અને કરીશ તો ભારતની બહાર જઇને કરીશ.'
શું હતો વિવાદ
જયપુરમાં સાહિત્ય સંમ્મેલન ચર્ચા દરમિયાન વાત ભ્રષ્ટાચાર પર આવીને ઉભી રહી. દરમિયાન અન્ય સાહિત્યકારો અને પત્રકારો સાથે મંચ પર હાજર આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ ઓબીસી અને અનુસુચિત જાતિના લોકોમાંથી આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતો કરી રહ્યા છે.' તેમના આવા નિવેદન બાદ તેમનો વિરોધ થયો અને જયપુરના અશોકનગર ખાતે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
જોકે આશિષ નંદીએ માંગી હતી માફી
આશિષ નંદીએ તેમના મતનો સખત વિરોધ થતા તેમણે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે મારા મતને મારી મચેડીને રજૂ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 'મે કહ્યું હતું કે દલિતો દ્વારા થતો ભ્રષ્ટાચાર સામે આવી જાય છે અને સવર્ણો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સામે નથી આવતો તેને દબાવી દેવામાં આવે છે. છતાં પણ મારા નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.'