ATMથી નીકળી 2000 રૂપિયાની નકલી નોટ, થયો વિવાદ
બિહારના સીતામઢીમાં એક વ્યક્તિએ એસબીઆઇના એટીએમમાંથી 2000 રૂપિયાની નકલી નોટ નીકળી હોવાનો દાવો કર્યો છે
નોટબંધી એટલા માટે લગાવવામાં આવી હતી કે નોટબંધીથી કાળા નાણાં અને નકલી નોટોના કારોબારને અટકાવી શકાય. ત્યારે આ તમામ વાતોની વચ્ચે જો એટીએમમાંથી જ 2000 રૂપિયાની નવી નોટ નકલી નીકળી તો ક્યાં જવું. આવું જ કંઇક બન્યું હોવાનો દાવો બિહારના સીતામઢીના એક વ્યક્તિએ કર્યો છે. અને તેણે આ અંગે બેંક અને પોલિસમાં ફરિયાદ પણ કરી છે. જે પછી તે એટીએમને બંધ કરવામાં આવ્યું છે.
બિહારના સીતામઢીના ડુમરા વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાંથી પંકજ કુમાર નામના વ્યક્તિએ 2000 રૂપિયાની નકલી નોટ નીકળી હોવાનો દાવો કર્યો છે. 42 વર્ષીય પંકજનું કહેવું છે કે તે બેંકના એટીએમની પૈસા નીકાળી બજારમાં વસ્તુ ખરીદવા ગયા હતા. ત્યારે દુકાનદારે જણાવ્યું કે આ 2000 રૂપિયાની નોટ ખોટી છે. અને આ નોટ 2000 રૂપિયાની કાર્બન કોપી છે.
પંકજ જણાવ્યું કે તેણે આ નોટ એટીએમથી જ નીકાળી છે. પણ દુકાનદારે વાત ન માનતા પંકજ એસબીઆઇની બેંક શાખામાં પહોંચીને આ અંગે ફરિયાદ નોંધાવી અને તે બાદ તેમણે પોલિસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરી. જો કે હાલ આ નોટ નકલી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. પણ બેંકે તે પછી તે એટીએમ બંધ કરી દીધું છે. અને હાલ સીસીટીવી ફૂટેઝ દ્વારા આ સમગ્ર વાત પર તપાસ ચાલુ છે.