21 કિલો ચાંદીના ભવ્ય ઝૂલામાં વિરાજમાન થશે ભગવાન રામ, ભક્તો રામ ઝરુખાથી કરી શકશે દર્શન
રામ નગરી અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝૂલા મેળો શરૂ થઈ ગયો છે. આ વખતે પહેલી વાર શ્રાવણમાં રામલલાને 21 કિલોગ્રામ ચાંદીના ઝૂલામાં ઝૂલાવવામાં આવશે.
અયોધ્યાઃ રામ નગરી અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝૂલા મેળો શરૂ થઈ ગયો છે. આ વખતે પહેલી વાર શ્રાવણમાં રામલલાને 21 કિલોગ્રામ ચાંદીના ઝૂલામાં ઝૂલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલા માટે 21 કિલોની ચાંદીનો ઝૂલો ટ્રસ્ટ તરફથી નિર્મિત કરાવવામાં આવ્યો છે. અસ્થાયી રામ મંદિરમાં પંચમીથી રામલલાના ઝૂલન ઉત્સવના શ્રીગણેશ થઈ જશે. આ દરમિયાન ભક્તો રામ ઝરુખાથી અયોધ્યામાં બની રહેલ રામલલા મંદિરના દર્શન કરી શકશે.
આવુ પહેલી વાર થઈ રહ્યુ છે કે રામલલા માટે ચાંદીનો વિશેષ ઝૂલો બનાવવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ઝૂલાનો ફોટો શેર કરીને જણાવ્યુ કે આ વખતે રક્ષાબંધન સુધી રામલલા આ વિશેષ ઝૂલામાં રહેશે. આ ઝૂલાની ઉંચાઈ 5 ફૂટ છે. તમને જણાવી દઈએ કે પરંપરાઓ મુજબ અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ સુદ તૃતીયાએ ઝૂલન મહોત્સવની શરૂઆત થાય છે. આ પ્રસંગે અયોધ્યાના બધા મુખ્ય મંદિરોથી વિગ્રહ મણિ પર્વત સુધી પાલખીઓમાં ઢોલ-નગારા સાથે જાય છે અને ત્યાં ઝૂલા ઝૂલે છે.
મણિ પર્વત એ જ જગ્યા છે જ્યાં માતા સીતા ઝૂલા ઝૂલવા માટે આવતા હતા. આના કારણે અહીં દર વર્ષે શ્રાવણ સુદ તૃતીયાને મોટો મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. વળી, ભક્તો માટે રામલલાના દર્શન કરવા માટે રસ્તામાં એક ઝરુખો ખોલવામાં આવી રહ્યો છે. આના દ્રારા રામ મંદિર નિર્માણ જોઈ શકાશે. આ ઝરુખાને રામ ઝરુખો નામ આપવામાં આવ્યુ છે. આ 20 ફૂટની પહોળાઈમાં રામ મંદિર પરિસરની પશ્ચિમ દિવાલે ખોલવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે આવતા એક સપ્તાહમાં બનીને તૈયાર થઈ જશે. લોકો આનાથી મંદિરનુ નિર્માણ કાર્ય જોઈ શકશે.
અયોધ્યામાં એન્ટ્રી માટે આરટીપીસીઆર જરૂરી
અયોધ્યામાં પ્રવેશ માટે આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરના જોખમના કારણે આ વખતે ઝૂલા મહોત્સવને ઘણો સીમિત રાખવામાં આવ્યો છે. મુસાફરોને કહેવામાં આવ્યુ છે કે તેમણે પોતાની સાથે 72 કલાક પહેલાનો આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ લાવવાનો રહેશે.