અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર 1800 કરોડ રૂપિયા ખર્ચ થશે, ટ્ર્સ્ટે જણાવ્યુ કેવી હશે ભગવાન રામની મૂર્તિ
અંદાજ મુજબ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જાણો વિગત.
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રવિવારે સાંજે અયોધ્યામાં એક બેઠક બાદ મીડિયાને જણાવ્યુ હતુ કે સંશોધિત અંદાજ મુજબ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તેના નિયમો અને વિનિયમોને અંતિમ સ્વરૂપ આપ્યુ હતુ.
ચંપત રાયે બાંધકામની કિંમત વિશે કહ્યુ કે અનેક રિવિઝન બાદ અમે આ અંદાજ પર પહોંચ્યા છીએ અને તે વધી પણ શકે છે. ટ્રસ્ટે ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ માર્બલનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવશે. ચંપત રાયે કહ્યુ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નિયમો અને વિનિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. અમે છેલ્લા ઘણા મહિનાઓથી આના પર કામ કરી રહ્યા છીએ. ચંપત રાયે જણાવ્યુ હતુ કે મંદિરનુ નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના તહેવાર સુધીમાં ભગવાન રામને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યુ કે ટ્રસ્ટના 15માંથી 14 સભ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો. નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, ખજાનચી ગોવિંદ દેવ ગીરી, સભ્ય ઉડુપી પીઠાધીશ્વર વિશ્વતીર્થ પ્રસન્નાચાર્ય, ડૉ. અનિલ મિશ્રા, મહંત દિનેન્દ્ર દાસ, કામેશ્વર ચૌપાલ અને ભૂતપૂર્વ અધિકારી સભ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમાર હાજર રહ્યા હતા. કેશવ પરાશરણ, યુગપુરુષ પરમાનંદ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અને રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ, સંજય પ્રસાદે ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી.