Badaun Double Murder: બે ભાઈઓની નિર્દયી હત્યા, આરોપીનુ રાતે એનકાઉન્ટર, બદાયુમાં તણાવની સ્થિતિ
Badaun Double Murder: ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે બે સગા કિશોર વયના ભાઈઓની રેઝર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એક ભાઈ 14 વર્ષનો હતો અને બીજો ભાઈ 6 વર્ષનો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બંને ભાઈઓની હત્યા કર્યા બાદ હત્યારો લોહીથી લથપથ કપડાં પહેરીને ભાગી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને ત્યારબાદ એનકાઉન્ટરમાં તેને ઠાર મારવામાં આવ્યો હતો.

હત્યાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં લોકો મૃતક બાળકોના ઘરે પહોંચી ગયા હતા. જે બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હોવાના સમાચાર લોકોને નકલી લાગી રહ્યા હતા. મૃતકના માતા-પિતાને હત્યાના આરોપીની લાશ બતાવવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ રાત્રે વાતાવરણ કોઈક રીતે શાંત થઈ ગયું હતું.
પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપી સાજિદને એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપી તેનો ભાઈ જાવેદ હજુ ફરાર છે. આ મામલે બદાયુના જિલ્લા મેજિસ્ટ્રેટ મનોજ કુમારે જણાવ્યું કે બાબા કોલોનીમાં તેમના ઘરમાં ઘૂસીને બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. મામલાની માહિતી મળતાં જ એસએસપી સહિત ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લીધી હતી.
તેમણે વધુમાં કહ્યું કે આ મામલામાં નાની-મોટી આગચંપીના બનાવો બન્યા છે. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે. વળી, આઈજી ડૉ. રાકેશ કુમારે જણાવ્યું કે બે બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડવા માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ટીમ તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ જવાબી ગોળીબાર કર્યો હતો.
પોલીસ દ્વારા ગોળી વાગતાં આરોપી ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત આરોપીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આઈજીએ કહ્યું કે ઘટનાસ્થળે સ્થિતિ સામાન્ય છે. બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ બુધવારે સવારે તેમના મૃતદેહ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. મૃતક બાળકોના ઘર આસપાસ મોટી સંખ્યામાં ભીડ હાજર છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બદાયુમાં વિનોદ કુમારનું ઘર બાબા કોલોનીમાં છે. તેની પત્ની ઘરે પાર્લર ચલાવે છે. તેના ત્રણ બાળકો ઘરે હતા. જાવેદ અને સાજીદ વિનોદના ઘરની સામે સલૂન ચલાવે છે. બંનેનો વિનોદના પરિવાર સાથે અવારનવાર વિવાદ થતો હતો.
મંગળવારે સાંજે સાજીદ અને જાવેદ વિનોદના ઘરે આવ્યા હતા અને બીજા માળે વિનોદના પુત્રો આયુષ, પીયૂષ અને હની પર રેઝર વડે સીધો હુમલો કર્યો હતો. બાળકોની ચીસો સાંભળીને માતા સંગીતા ઝડપથી ઉપરના માળે દોડી આવી હતી. સ્થાનિક લોકો પણ આવી પહોંચ્યા હતા. ઉપરના રૂમમાંનું દ્રશ્ય જોઈને માતા જોર જોરથી રડવા લાગી. બાળકોને જમીન પર લોહીલુહાણ થતા જોઈને તે ચીસો પાડવા લાગી.
આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં હાજર ભીડે હંગામો મચાવ્યો. રોષે ભરાયેલા લોકોએ રસ્તો રોકી દીધો હતો. ઘણી સમજાવટ બાદ કોઈક રીતે પોલીસે લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.












Click it and Unblock the Notifications
