બાળ ઠાકરેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

નેતા-અભિનેતાઓની શિવાજી પાર્કમાં હાજરી
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બિઝનેસમેન અનિલ અંબાણી એકસાથે શિવાજી પાર્ક પહોચ્યા છે. આ સાથે જ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી અને એનસીપી નેતા શરદ પવાર પણ સાથે જ આવ્યા છે. ભાજપના નેતાઓની વાત કરીએ તો લાલ કૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, મેનકા ગાંધી, શાહનવાઝ હુસૈન સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ, ઉપરાંત રાજીવ શુકલા, સુપ્રિયા સુલે શિવાજી પાર્ક ખાતે બાળ ઠાકરેની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. નાના પાટેકર, મધુર ભંડારકર, રિતેશ દેશમુખ સહિતના બોલિવુડ જગતના સિતારાઓ શિવાજી પાર્ક ખાતે બાળા સાહેબની અંતિમ ક્રિયામાં હાજરી આપવા આવ્યા હતા.
રાજકિય સન્માન અપાયું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ બનનાર શિવસેના સુપ્રિમોના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે લઇ જવામાં આવે તેવું સુચન મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઠાકરે પરિવારને જણાવવામાં આવ્યું હતું. શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરતા પૂર્વે પોલીસ કર્મીઓ દ્વારા ફાયરિંગ અને બ્યુગલ વગાડીને બાળા સાહેબ ઠાકરેને રાજકિય સન્માન સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી.
માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી નિકળી બાળા સાહેબની અંતિમ યાત્રા
બાળ ઠાકરેના પાર્થિવ દેહને એક ટ્રકમાં રાખવામાં આવ્યો હતો, જેને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. બાળા સાહેબ હંમેશા ચશ્મા પહેરીને જોવા મળતા હોવાથી અંતિમ યાત્રામાં પણ તેમને ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા બાંદરા વિસ્તારમાં ઉપસ્થિત તેમના આવાસ 'માતોશ્રી'થી થઇને શિવાજી પાર્ક પહોંચી હતી. માહિમ, દાદર, શિવસેના ભવન દરેક સ્થળે તેમના અંતિમ દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં મેદની એકઠી થઇ હતી.
લાખોની સંખ્યામાં મેદની ઉમટી
બાળ ઠાકરેની અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે મુંબઇ ખાતે મહારાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં મેદની પહોંચી હતી. માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી પહોંચેલી આ અંતિમ યાત્રામાં 15 લાખથી વધારે સંખ્યામાં લોકો આવ્યા હતા અને બાળા સાહેબ ઠાકરેને ભાવભિની શ્રદ્ધાજંલિ અર્પી હતી.
ઉદ્ધવ ઠાકરે લાગણીઓ પર ના રાખી શક્યા કાબુ
પિતા બાળ ઠાકરેના પાર્થિવ દેહને જ્યારે શબ વાહિની પર મુકવા માટે ઘરની બહાર લાવવામાં આવ્યો ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર લાગણીઓ પર કાબુ કરી શક્યા ના હતા અને તેમની આખોમાં અશ્રુ વહી પડ્યા હતા.
તિરંગામાં લપેટવામાં આવ્યો બાળ ઠાકરેનો પાર્થિવ દેહ
મહારાષ્ટ્રના વાઘ તરીકે જાણિતા બાળ ઠાકરેની અંતિમ યાત્રા મુંબઇમાં કાઢવામાં આવી હતી. આ સમયે તેમના પાર્થિવ દેહને ભારતીય તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જનમેદની તેમના અંતિમ દર્શનાર્થે ઉમટી હતી.
મુંબઇવાસીઓને પોલીસની અપીલ
મુંબઇના લોકોને પોલીસે અપીલ કરી છે કે,જો બહાર જવું જરૂરી ના હોય તો લોકો ઘરની બહાર નિકળે નહીં. આ ઉપરાતં ટેક્સી અને રિક્ષા પણ ના ચલાવે. લોકોને અપીલ કરવામાં આવી છે કે જો અંતિમ દર્શન કરવા ઇચ્છતા હોય તે ચાલીને અથવા પોતાના વાહનનો ઉપયોગ કરે. બેસ્ટને વધારે બસો ચલાવવા માટે જણાવવામાં આવ્યું છે. રેલવેએ પણ મેગા બ્લોક ટાળી દીધો હતો.












Click it and Unblock the Notifications
