ગડકરીનું શરમજનક નિવેદન: જો ટ્રેનમાં રેપ થશે તો શું ટ્રેન જ બંધ કરી દેશો
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કંપની ઉબર ટેક્સી સર્વિસેઝના ડ્રાઇવર શિવકુમાર યાદવ દ્વારા 27 વર્ષીય મહિલા સાથે બળાત્કાર ગુજારવાની ઘટના હવે જોર પકડી રહી છે. આ ગંભીર કેસને લઇને સરકારના બે મંત્રાલય પરસ્પર ટકરાઇ ગયા છે. જ્યાં એક તરફ ગૃહ મંત્રાલયે ઉબર ટેક્સી સર્વિસેઝ પર પ્રતિબંધ લગાવવા માટે તૈયાર છે તો પરિવહન મંત્રાલય આ મુદ્દે એક અજીબો-ગરીબ નિવેદન આપી રહ્યું છે.
પરિવહન મંત્રી નિતિન ગડકરી કેબમાં થયેલી દુષ્કર્મની ઘટના બાદ તે સેવાને બંધ કરવાના વિરોધમાં છે. તેમણે મંગળવારે કહ્યું કે કેબ સર્વિસ પર પ્રતિબંધ લગાવવો ખોટું છે. પોતાની આ વાતને સાબિત કરવા માટે નિતિન ગડકરીએ જે નિવેદન આપ્યું છે તે વધુ બિનજવાબદાર છે. નિતિન ગડકરીએ કહ્યું કે રેલવેમાં રેપ થાય તો શું રેલ સેવા બંધ કરી દઇએ? ગાડીઓને બંધ કરવી યોગ્ય નથી.

પરિવહન મંત્રીએ એ પણ કહ્યું કે દેશમાં 30 ટકા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવટી છે. આગળની વાત કરતાં પહેલાં તમને જણાવી દઇએ કે આરોપી ડ્રાઇવર શિવકુમાર યાદવને રવિવારે મથુરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને 11 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પૂર્વ ગૃહ મંત્રાલયે બધા રાજ્યોને પત્ર લખીને વેબ (ઇન્ટરનેટ)ના માધ્યમથી ટેક્સ સર્વિસ પુરી પાડનાર કંપનીઓ પર પાબંધી લગાવી દિધી છે.
મંત્રાલયે પોતાના પત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી આ કંપનીઓનું રજીસ્ટ્રેશન ન હોય ત્યાં સુધી પ્રતિબંધ લગાવવામાં આવે. આ ઉપરાંત મંત્રાલયે લોકોને પણ અપીલ કરી છે કે તે આવી ટેક્સી સેવા પુરી પાડતી કંપનીઓની સેવા ન લે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે 5 ડિસેમ્બરની રાતે પીડિત છોકરીએ દિલ્હીના વસંત વિહારથી પોતાના ઘર સરાય રોહિલ્લા જવા માટે ટેક્સી લીધી હતી, જેના ડ્રાઇવરે તેની સાથે કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો.












Click it and Unblock the Notifications
