ભારત જોડો યાત્રાનું કાશ્મીરમાં સમાપન, જાણો શું કહ્યું કાશ્મીરી નેતાઓએ?
રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રાનું આજે શ્રીનગર ખાતે સમાપન થયુ હતું. અહીં એક સભામાં જમ્મુ કાશ્મીરના તમામ વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રીનગર : રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર પહોંચી ગઈ છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ હતો અને 12 રાજ્યોનો પ્રવાસ કરીને શ્રીનગરમાં યાત્રા પુરી થઈ. ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં જનસભા યોજાઈ હતી. અહીં કોંગ્રેસના નેતાઓ સાથે સાથે કાશ્મીરના સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
અહીં મહેબુબા મુફ્તીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે, રાહુલ તમે કહ્યું કે તમે કાશ્મીરમાં તમારા ઘરે આવ્યા છો. આ તમારું ઘર છે. હું આશા રાખું છું કે ગોડસે વિચારધારાએ જમ્મુ અને કાશ્મીરમાંથી જે છીનવ્યુ છે તે આ દેશમાંથી પાછું મળશે. ગાંધીજીએ કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં આશાનું કિરણ જોઈ શકે છે. આજે દેશ રાહુલ ગાંધીમાં આશાનું કિરણ જોઈ શકે છે.
અહીં નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીને પશ્ચિમથી પુર્વ તરફ એક યાત્રા કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, આ ખૂબ જ સફળ યાત્રા રહી છે. રાષ્ટ્રને તેની જરૂર હતી. સાબિત થયું છે કે એવા લોકો છે જેઓ ભાજપને પસંદ કરે છે અને એવા લોકો છે જેઓ ભાજપ છોડીને નવી સરકાર ઈચ્છે છે, જે સંવાદિતા ઈચ્છે છે અને એકબીજા સાથે શાંતિ અને પ્રેમથી રહેવા માંગે છે, જે ભાજપ ન આપી શકે.
આ સભામાં આરએસપી નેતા પ્રેમચંદ્રને કોંગ્રેસ સાથે પાર્ટીની એકજૂઠતાની જાહેરાત કરી અને કહ્યું કે, એક ઐતિહાસિક આંદોલન ચલાવાયુ. રાહુલ ગાંધીએ સાબિત કર્યુ કે આ વિભાજનકારી લોકો સાથે લડવા માટે તે યોગ્ય નેતા છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેર સભાઓ, 100થી વધુ નાની સભાઓ, 13 પ્રેસ કોન્ફરન્સ સંબોધી.