ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપો
2019ની લોકસભા ચૂંટણી પહેલા યુપીના દલિત રાજકારણમાં ગરમાવો લાવવાની તૈયારીમાં લાગેલા ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરને મોટો ઝટકો લાગ્યો છે.
2019ની લોકસભા ચૂંટણી પહેલા યુપીના દલિત રાજકારણમાં ગરમાવો લાવવાની તૈયારીમાં લાગેલા ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરને મોટો ઝટકો લાગ્યો છે. પરસ્પરના ઝઘડામાં ઉલઝાઈ ગયા બાદ ભીમ આર્મીએ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ચંદ્રશેખર ઉપર ભાજપને મળવાનો આરોપ લગાવતા ભીમ આર્મીના જ અમુક સભ્યોએ અલગ થઈને ભીમ આર્મી-2ની રચના કરી દીધી છે. ભીમ આર્મી-2 ના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ચંદ્રશેખરે ગુપ્ત રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સમજૂતી કરી લીધી છે અને હવે તેને દલિતોના હિતો સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચોઃ સબરીમાલાઃ શ્રદ્ધાળુઓની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર, સીએમ નિવાસ બહાર ભીડ એકત્ર
‘ચંદ્રશેખરથી હવે દલિતોનો મોહભંગ'
ભીમ આર્મી-2ની રચના કરનાર લોકેશ કટારિયા અને શિવજી ગૌતમે કહ્યુ કે તેમનું સંગઠન દલિતોના હિતો માટે કામ કરશે અને 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન જેલમાં બંધ કરવામાં આવેલા દલિત નેતાઓને છોડવાની માંગ કરશે. તેમણે કહ્યુ કે ટૂંક સમયમાં જેલમાં બંધ સાથીઓને છોડાવવા માટે ડીએમને આવેદન આપવામાં આવશે. લોકેશ કટારિયાએ આરોપ લગાવ્યો કે ચંદ્રશેખરે જેલમાં બંધ દલિતો માટે એક પણ પગલુ લીધુ નથી. આ જ કારણ છે કે ચંદ્રશેખરથી હવે દલિતોનો મોહ ભંગ થઈ રહ્યો છે.
‘ભાજપ સાથે મળીને બનાવી ભીમ આર્મી-2'
ભીમ આર્મી - 2ના આરોપો પર જવાબ આપતા ભીમ આર્મીએ કહ્યુ કે ચંદ્રશેખર ઉપર આ પ્રકારના આરોપો લગાવવા અયોગ્ય છે. ચંદ્રશેખરે દલિતોના હિતો સાથે ક્યારેય સમજૂતી નથી કરી અને ના ક્યારેય કરશે. ભીમ આર્મીના નેતા કહ્યુ કે જેલમાં બંધ દલિત સાથીઓની મુક્તિ માટે અમે પહેલેથી જ 6 ડિસેમ્બરથી એક મોટા આંદોલનનું એલાન કરી ચૂક્યા છે. નેતાએ આરોપ લગાવ્યો કે અત્યારે લોકોએ ભાજપ સાથે મળીને સંગઠનને નબળુ કરવા માટે ભીમ આર્મી-2ની રચના કરી છે, લોકો તેમની વાતોમાં ક્યારેય નહિ આવે.
6 ડિસેમ્બરથી ભીમ આર્મીનું આંદોલન
તમને જણાવી દઈએ કે ભીમ આર્મીએ 6 ડિસેમ્બરથી એક દેશવ્યાપી આંદોલનનું એલાન કર્યુ છે. આંદોલન વિશે જાણકારી આપતા ચંદ્રશેખરે જણાવ્યુ, ‘સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટમાં કરાયેલા સુધારાના વિરોધમાં દેશભરના દલિતોએ ગઈ 2 એપ્રિલે શાંતિપૂર્ણ રીતે ભારત બંધનું એલાન કર્યુ હતુ. આ બંધ બાદ પોલિસે મોટી સંખ્યામાં નિર્દોષ દલિત નેતાઓ અને કાર્યકર્તાઓને ખોટા આરોપોમાં પકડીને જેલમાં બંધ કરી દીધા હતા. આ લોકોને કોઈ પણ પ્રકારની હિંસા સાથે લેવાદેવા નહોતુ. આ બધા લોકોની મુક્તિની માંગ લઈને ભીમ આર્મી આગામી 6 ડિસેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરશે. આંદોલન દરમિયાન સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવશે કે જેલમાં બંધ નિર્દોષ દલિત કાર્યકર્તાઓ અને નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.'
ચંદ્રશેખરની રેલીથી દૂર રહેવાના નિર્દેશ
આ ઉપરાંત યુપીના બિજનોરમાં પણ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આગામી 19 નવેમ્બરે એક મોટી રેલી કરવાના છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોને બોલાવવા માટે ભીમ આર્મીના કાર્યકર્તા ઘણી જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. વળી, રેલી માટે બસપામાંથી કાઢી મૂકાયેલ અમુક નેતા પણ લોકોનો સંપર્ક કરવામાં લાગી ગયા છે. જો કે રેલીથી બહુજન સમાજ પાર્ટી (બસપા) એ અંતર જાળી રાખ્યુ છે. સૂત્રોની માનીએ તો બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આકરા શબ્દોમાં કહ્યુ છે કે બસપાના કોઈપણ કાર્યકર્તા ભીમ આર્મી કે ચંદ્રશેખરના કોઈ પણ કાર્યક્રમ કે રેલીમાં શામેલ ન થાય. માયાવતી આ પહેલા પણ ભીમ આર્મી અંગે સાર્વજનિક રીતે નિવેદન આપી ચૂક્યા છે કે તેમના આ સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચોઃ 'અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છે': આપ નેતાનું વિવાદિત નિવેદન