કોણે લખ્યા હતા એ 13 રજિસ્ટર, બુરાડી કેસમાં એક વર્ષ બાદ હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો મોટો ખુલાસો
પરિવારના 11 લોકોના મોતના આ કેસમાં ઘરમાંથી મળેલા 13 રજિસ્ટરો વિશે એક વર્ષ બાદ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટે મોટો ખુલાસો કર્યો છે.
રાજધાની દિલ્લી સાથે સાથે સમગ્ર દેશને હચમચાવી દેનાર બુરાડી કાંડની યાદો લોકોના મનમાં આજે પણ તાજી છે. ગયા વર્ષે જુલાઈના મહિનામાં બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના સામૂહિક મોત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મનોવૈજ્ઞાનિક ઑટોપ્સી રિપોર્ટ અને બિસરા રિપોર્ટમાં પહેલા જ ખુલાસો થઈ ચૂક્યો છે કે બધા 11 લોકોના મોત દૂર્ઘટનાવશ આત્મહત્યાના કારણે થયા હતા. આ કેસમાં હવે વધુ એક મોટી માહિતી સામે આવી છે. વાસ્તવમાં પરિવારના 11 લોકોના મોતના આ કેસમાં ઘરમાંથી મળેલા 13 રજિસ્ટરો વિશે એક વર્ષ બાદ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટે મોટો ખુલાસો કર્યો છે.
કોણે લખ્યા ‘મોતના એ રજિસ્ટર'
હેન્ડ રાઈટિંગ એક્સપર્ટના રિપોર્ટ મુજબ, બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોના મોત કેસમાં દિલ્લી પોલિસની ટીમને ઘરની અંદરથી જે 13 રજિસ્ટર મળ્યા હતા તે ચૂડાવત પરિવારના લોકોએ જ લખ્યા હતા. હેન્ડ રાઈટિંગ એક્સપર્ટનું કહેવુ છે કે આ રજિસ્ટરોના મોટાભાગના પેજ પર પરિવારના બે બાળકોના અક્ષર છે. ઉલ્લેખનીય છે કે બુરાડીમાં ઘરમાંથી મળેલા આ રજિસ્ટરોમાં પૂજા પાઠ અને આસ્થા સાથે સંબંધિત અમુક નિર્દેશ લખ્યા હતા. આ રજિસ્ટરોને જોઈને જ એ વાતના સંકેત મળ્યા હતા કે પરિવારના લોકોએ કોઈ અંધવિશ્વાસના ચક્કરમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે પહેલા એ પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ રજિસ્ટરોને બહારના કોઈ વ્યક્તિએ લખ્યા છે પરંતુ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટના રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે પરિવારના લોકોએ જ આ રજિસ્ટર લખ્યા હતા.
રજિસ્ટરોમાં પરિવારના સાત લોકોના હેન્ડ રાઈટિંગ
આ કેસમાં તપાસ કરી રહેલ દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઘરની અંદરથી મળેલા 13 રજિસ્ટર અને પરિવારના લોકોની હેન્ડ રાઈટિંગના સેમ્પલ એક્સપર્ટ પાસે મોકલાવ્યા હતા. રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર આ રજિસ્ટરોમાં પરિવારના સાત લોકોના હેન્ડ રાઈટિંગ મળ્યા. જો કે મોટાભાગના રજિસ્ટર પરિવારના જ બે બાળકોએ લખ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને હવે આ કેસમાં પરિવારના લોકોના મોબાઈલ રિપોર્ટની રાહ છે. મોબાઈલ રિપોર્ટ આવ્યા બાદ એ માલુમ પડી શકશે કે એ ઘટના પહેલા ચૂડાવત પરિવારના લોકોએ કોની સાથે ફોન પર વાત કે કોઈ મેસેજ મોકલ્યો હતો. મોબાઈલ રિપોર્ટ આવ્યા બાદ પોલિસ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દેશે.
આ પણ વાંચોઃ આર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા
દૂર્ઘટનાવશ આત્મહત્યાના કારણે થયા 11 લોકોના મોત
તમને જણાવી દઈએ કે આ પહેલા 11 લોકોના મોતના આ કેસમાં બિસરા રિપોર્ટ આવ્યો હતો. ઘટનાના પાંચ મહિના બાદ આવેલા આ રિપોર્ટથી ઘણા મહત્વના ખુલાસા થયા હતા. બિસરા રિપોર્ટ મુજબ, ‘પરિવારના 11 લોકોના મોત દૂર્ઘટનાવશ આત્મહત્યાના કારણે થયા હતા. મૃત 11 લકોમાંથી કોઈના પણ શરીરમાં કોઈ ઝેર કે એવો કોઈ ઝેરીલો પદાર્થ નથી મળ્યો જેને મોતનું કારણ માની શકાય એટલે કે મોતનું કારણ દૂર્ઘટનાવશ થયેલી આત્મહત્યા જ હતુ.' રિપોર્ટમાં અમુક સભ્યોના પેટમાં ભોજન હતુ જ્યારે અમુક સભ્યોના પેટ ખાલી હતા. આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાયકોલોજીકલ ઑટોપ્સીનો રિપોર્ટ પહેલા જ આવી ચૂક્યો હતો. બિસરા રિપોર્ટ બાદ ઘરમાં મળેલા રજિસ્ટરોના હેન્ડ રાઈટિંગ રિપોર્ટ અને મોબાઈલ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.
બંધ કરવામાં આવ્યા એ 11 રહસ્યમયી પાઈપ
બુરાડીમાં ઘરની અંદર થયેલા 11 લોકોના મોત બાદ ઘરમાંથી બહારની તરફ નીકળેલી 11 પાઈપો વિશે પણ ઘણી અફવાઓ ફેલાઈ હતી. આસપાસના લોકોનું કહેવુ હતુ કે કોઈ રુહાની પ્રક્રિયા માટે ઘરની બહાર આ 11 પાઈપ કાઢવામાં આવ્યા છે. જો કે બાદમાં આ પાઈપોને હટાવીને છિદ્રોને બંધ કરી દેવામાં આવ્યા. પરિવારના સભ્ય દિનેશ ચૂડાવતે આ વિશે માહિતી આપતા જણાવ્યુ કે તે પાઈપ એક તમાશો બની ગયા હતા. આ પાઈપોને હટાવ્યા વિના ઘર વિશે ફેલાઈ રહેલી અફવાઓ રોકવી સંભવ નહોતી. એટલા માટે આ પાઈપોને સંપૂર્ણપણે છૂટકારો મેળવવાનો નિર્ણય કર્યો. ઘટના બાદ રાજસ્થાનના કોટામાં રહેતા દિનેશ ચૂડાવતને જ ઘરની ચાવીઓ સોંપવામાં આવી હતી.
કેમ ઘેરાયુ હતુ આ પાઈપો પર રહસ્ય
આ 11 પાઈપો વિશે રહસ્ય એટલા માટે ઘેરાયુ હતુ કારણકે આમાંથી અમુક છિદ્રો ઘણી ઉંચાઈ પર હતા. ઘરની બહાર નીકળેલી આ 11 પાઈમાંથી સાતના મોઢા નીચેની તરફ ઝૂકેલા હતા જ્યારે બાકી ચાર પાઈપોના મોઢા સીધા હતા. વળી, ઘરની અંદર મૃત મળેલા પરિવારના 11 લોકોમાંથી સાત મહિલાઓ હતી અને ચાર પુરુષ એટલા માટે પણ આ પાઈપો વિશે ચર્ચાઓ થઈ. આ 11 પાઈપોના મોઢા એક ખાલી પ્લૉટ તરફ હતા. લોકોનું કહેવુ હતુ કે પરિવારના 11 લોકોના મોતને આ 11 પાઈપો સાથે જરૂર કોઈ સંબંધ છે. જો કે પોલિસનું કહેવુ હતુ કે આ માત્ર એક સંયોગ છે. પાઈપ લગાવનાર ઠેકેદારે પણ જણાવ્યુ કે ઘરમાં આ પાઈપ વેંટિલેશન માટે લગાવવામાં આવી હતી.