યુપીના નોઇડામાં BJP નેતાની ગોળી મારીને હત્યા
યુપીમાં ગ્રેટર નોઇડામાં ભાજપ નેતાની હત્યારસ્તામાં ગોળી મારી કરવામાં આવી હત્યાઆ અંગે વધુ વાંચો અહીં...
ઉત્તર પ્રદેશ સ્થિત ગ્રેટર નોઇડાના તિગરી ગામના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતાની ગુરૂવારે હત્યા થઇ હતી. બાઇકસવારોએ ભાજપ નેતા શિવકુમાર યાદવની ગોળી મારીને હત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર, શિવકુમાર પોતાની ફોર્ચ્યુનર કારમાં બેઠા હતા, એ જ સમયે બાઇકસવારોએ ગોળી મારી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. આ ખબર ફેલાતા જ રોડ પર ભીડ જામી ગઇ હતી. આ ઘટનામાં બે અન્ય લોકોનું પણ મૃત્યુ થયું હતું.
શિવકુમાર તેમની શાળાએથી પરત ફરી રહ્યા હતા અને તેમની સાથે તેમનો બોડીગાર્ડ પણ હતો. આ ઘટનામાં બોડીગાર્ડનું પણ મૃત્યુ થયું હતું. તેમની કાર બોડીગાર્ડ જ ચલાવી રહ્યો હતો. કાર પણ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. શિવકુમાર બે શાળાનું સંચાલન કરે છે, જેમાંથી એક શાળાની મુલાકાત લઇ તેઓ પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ મુજબ, 9 MM અને AK-47 જેવા હથિયારો દ્વારા હુમલો થયો હોવાનું બહાર આવ્યું હતું. શિવકુમારને માથામાં અને છાતીમાં ગોળીઓ વાગી હતી. વેર વાળવાના હેતુસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.