ભાજપના નેતાઓએ અમિત શાહને બચાવવા પ્રયાસ કર્યો : PIL
સોહરાબુદ્દીન, તેની પત્ની કોસરબી અને તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટર કેસમાં દાખલ કરવામાં આવેલી આ પીઆઇએલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને સાંસદોની વિરુદ્ધ આ ગુનાહિત કાવતરાના પુરાવા છે. આ કેસમાં કોર્ટે નક્કી કરવાનું બાકી છે કે આ પીઆઇએલને સ્વીકારવામાં આવે કે ના આવે.
વર્ષ 2005માં સોહરાબુદ્દીન અને તેની પત્નીને એક બસમાંથી ઉતારીને પોલીસ લઇ ગઇ હતી. ત્યાર બાદ બંનેના એન્કાઉન્ટરના સમાચાર આવ્યા હતા. આ એન્કાઉન્ટરના કેટલાક દિવસો બાદ એન્કાઉન્ટરના એક માત્ર સાક્ષી તુલસી પ્રજાપતિની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકેલા અને હાલમાં જામીન પર છૂટેલા અમિત શાહ અત્યારે ઉત્તર પ્રદેશના પ્રભારી છે. તેમની જામીન પર પહેલા ગુજરાત હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર લગાવી હતી.
વરિષ્ઠ વકીલ કામિની જયસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ પીઆઇએલ એક સ્વતંત્ર પત્રકાર પુષ્પ કુમાર શર્મા દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પર આધારિત છે. આ સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના સાંસદ પ્રકાશ જાવડેકર અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચેની વાતચીતને આધાર બનાવવામાં આવી છે. આ વાતચીતમાં બંને નેતા તુલસીરામ પ્રજાપતિની માતા પાસેથી વકાલતનામુ મેળવવા અંગે વાતચીત કરી રહ્યા છે. આ સ્ટિંગની એક કોપી દેશની અગ્રણી ન્યુઝ ચેનલ એનડીટીવી પાસે ઉપલબ્ધ છે. તેના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.