બોધગયા વિસ્ફોટઃ એકની અટકાયત, સીસી ટીવી ફુટેજ જારી
દિલ્હી પોલીસે પુણેની જર્મની બેકરી વિસ્ફોટના આરોપી સૈયદ મકબૂલની પૂછપરછના આધારે 26 ઓક્ટોબર 2012એ એક પત્રકાર પરિષદ થકી બોધગયાને આતંકીઓ નિશાન બનાવે તેવી વાત જણાવી હતી. મકબૂલે પોલીસને જણાવ્યું હતું કે તે પોતાના સાથીઓની સાથે બિહાર ગયો હતો અને 15 દિવસ રોકાયો હતો. તેણે મહાબોધિ મંદિરની રેકી કરી હતી અને વીડિયો પણ તૈયાર કર્યો હતો. આ જ રીતે તેણે મુંબઇના પણ કેટલાક સ્થળોની વીડિયો તૈયાર કર્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બોધગયા વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસની ટીમ બિહાર પોલીસ પાસેથી જાણકારીઓ એકઠી કરવાની છે.
રવિવારે મોડી રાત્રે એનઆઇએના નિર્દેશ પર બારાચટ્ટી ખાતેથી વિનોદ મિસ્ત્રીની પોલીસે અટકાયત કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આખા પરિસરની તપાસ કરતી વેળા વિનોદનું આઇકાર્ડ મંદિરના ધ્યાન કેન્દ્ર પાસેથી મળી આવ્યું હતું. પોલીસ વિનોદને બારાચટ્ટીથી બોધગયા લાવી રહી છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. બોધગયા શ્રેણીબદ્ધ વિસ્ફોટ દરમિયાન જે ત્રણ સ્થળો પરથી જીવીત સિલિન્ડર બોમ્બ મળ્યા હતા ત્યાંથી જ પોલીસને ઉર્દુમાં લખવામાં આવેલા ત્રણ પત્રો પણ મળ્યા છે. પત્રોમાં એવું લખેલું છે કે, કયા કયા સ્થળો પર બોમ્બ લગાવવામાં આવ્યા હતા. પહેલો બોમ્બ જે નિષ્ક્રિય કરવામાં આવ્યો તે 80 ફૂટની મૂર્તિ પાસે હતો, બીજો બોમ્બ તેરગા મોનેસ્ટ્રી પાસે મળ્યો અને ત્રીજો બોમ્બ બૈજૂ બિગહા પાસેથી મળી આવ્યો હતો.
બિહારના ડીજીપી અભયાનંદે કહ્યું કે, પોલીસ પાસે સીસીટીવીના ઘણા ફૂટેજ છે, જે આ શ્રેણીબદ્ધ વિસ્ફોટની તપાસમાં કામ આવી શકે છે. એનઆઇએની ટીમ દ્વારા ઘટનાસ્થળથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા બાદ મંદિરના દ્વારને સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. ડીજીપીએ કહ્યું કે આતંકીઓ કુલ નવ વિસ્ફોટ કર્યા અને બે બોમ્બ એવા હતા કે જેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મંદિરની અંદર પવિત્ર સ્થળ સંપૂર્ણપણે સુરક્ષિત છે, બહારના કેટલાક ભાગોને નુક્સાન પહોંચ્યુ છે. બીટીએમસીની સાથે થયેલી બેઠકમાં તેમની તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે કે, મહાબોધિ મંદિરની સુરક્ષા વધારવામાં આવે. ત્યારબાદ મંદિર પરિસર અને અન્ય ભાગોની સુરક્ષા માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.