ભાજપના સાથ મુદ્દે નીતિશ અને શરદ યાદવ વચ્ચે મતભેદ?
આ અંગે અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગઠબંધન નહીં તોડવા માટે ભાજપ સમક્ષ શરત મૂકી છે કે તેઓ જાહેર કરે કે તેઓ આવનારી લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર નહીં કરે.
બીજી તરફ આ મુદ્દે જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે ભાજપ સામે આવી કોઇ શરત મૂકી હોવાની વાતને પાયાવિહોણી ગણાવી દીધી છે. શરદ યાદવના ભાજપ અંગેના નિવેદનથી સ્પષ્ટ જણાઇ આવે છે કે તેઓ ભાજપ સાથે કડક વલણ અપવાવવાના મતના નથી. આ સાથે આજે શરદ યાદવે એમ પણ જણાવ્યું કે ભાજપ અને જેડીયુના ગઠબંધનમાં મુશ્કેલીઓ જરૂર ઉભી થઇ છે પરંતુ તેને ઉકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જેડીયુમાં જ આ મુદ્દે સર્વસંમતિ સાધી શકાઇ નથી. જેના કારણે શરદ યાદવ અને નીતિશ કુમાર તરફથી અલગ અલગ નિવેદનો મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે નીતિશ કુમાર અને જેડીયુ સાથે જોડાણ એ મહત્વની બાબત છે જે અંગેનો નિર્ણય તેમણે લેવાનો નથી. તેનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ લેશે.