કર્ણાટકઃ યેદિયુરપ્પાએ ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો
અહેવાલ અનુસાર, યેદિયુરપ્પાએ આજે પોતાની પાર્ટી કેજીપીની પહેલી બેઠક બેંગ્લોર સ્થિત પોતાના આવાસમાં બોલાવી હતી. નોંધનીય છે કે ગુરુવારે જગદીશ શેટ્ટાર સરકારના બજેટને રજુ થતું રોકવાની ધમકી આપી હતી.
આ બેઠક દરમિયાન દક્ષિણમાં પહેલી ભાજપ સરકારને સત્તા પરથી હટાવવાના કાર્યની યોજનાને અંતિમ રૂપ આપવાની વાત કરવામાં આવી હતી. ગત મહિને ભાજપ છોડીને કેજીપીની કમાન સંભાળાનારા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમે સરકારને બજેટ રજુ કરવા નહીં દઇએ. અમે કેજીપીના કાર્યકારિણીની બેઠકમાં શેટ્ટાર સરકારને સત્તા પરથી હટાવવાના કાર્યની યોજનાને અંતિમ રૂપ આપીશું.
શેટ્ટાર આઠ ફેબ્રુઆરીએ આગામી વર્ષનું બજેટ રજુ કરવાનુ વિચારી રહ્યાં છે. રાજ્યમાં આ વર્ષના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. યેદિયુરપ્પાએ પત્રકારોને કહ્યું હતું કે આ સરકાર મરી ચુકી છે. રાજ્યમાં તેમની યાત્રા દરમિયાન તેમને જે લોકો મળ્યા તેમણે કહ્યું કે આ સરકારને રહેવા નહીં દઇએ. તે સરકાર પાડવા માટે જરૂરી આંકડા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે.