Budget 2023 : બજેટથી શિક્ષણ ક્ષેત્રને શું મળ્યુ? જાણો મહત્વની જાહેરાતો
આ વર્ષના બજેટમાં શિક્ષણને લઈને કરાયેલી કેટલીક મોટી જાહેરાતોમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને લઈને પણ જાહેરાત કરાઈ છે. આ માટે કેન્દ્ર સરકાર આગામી 3 વર્ષમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરશે.
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 નું બજેટ લોકસભામાં રજુ કર્યુ છે. આ બજેટમાં શિક્ષણના બજેટમાં 8 ટકાનો વધારો કરાયો છે. 2022-23માં શિક્ષણ માટે 1.04 લાખ કરોડ રૂપિયા ફળવાયા હતા. હવે આ રકમ આગામી નાણાકીય વર્ષ માટે વધારીને 1.12 લાખ કરોડ રૂપિયા કરાઈ છે. આમાંથી શાળા શિક્ષણ વિભાગને 68,804 કરોડ અને ઉચ્ચ શિક્ષણ વિભાગને 44,094 કરોડ મળશે.
આ બજેટમાં શિક્ષણ મંત્રાલયની સૌથી મોટી યોજના સર્વ શિક્ષા અભિયાનને ગયા વર્ષ જેટલા જ નાણાંની ફાળવણી કરાઈ છે. આ વખતે આ યોજના માટે 37,453 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ બજેટમાં નાણામંત્રીએ કોરોના મહામારીથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે પણ જાહેરાત કરી છે.
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકો અને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપનાની જાહેરાત કરી છે. આવી જ એક જાહેરાત 2018માં પણ કરાઈ હતી. આ લાઈબ્રેરી IIT ખડગપુર નેશનલ ડિજિટલ લાઇબ્રેરી છે. હાલની વ્યવસ્થા અને નવી જાહેરાત વચ્ચે શું તફાવત છે તે હજુ સ્પષ્ટ નથી.
આ સિવાય બજેટમાં અભ્યાસક્રમોની આપ-લે, સતત વ્યાવસાયિક વિકાસ, ડિપસ્ટિક સર્વેક્ષણ અને માહિતી અને સંચાર ટેકનોલોજીના અમલીકરણ પર ભાર મુકીને શિક્ષક તાલીમને સુધારવા પર ભાર મુકાયો છે. આ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાઓને ઉત્તમ અને ગતિશીલ સંસ્થા તરીકે વિકસાવાશે. વધુમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવાની જોગવાઈ કરાઈ છે. તબીબી સાધનોની તાલીમ માટે નવા કાર્યક્રમો શરૂ કરવાની પણ બજેટમાં જોગવાઈ છે.
આ વર્ષના બજેટમાં શિક્ષણને લઈને કરાયેલી કેટલીક મોટી જાહેરાતોમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને લઈને પણ જાહેરાત કરાઈ છે. આ માટે કેન્દ્ર સરકાર આગામી 3 વર્ષમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરશે. તેનાથી દેશની 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ફાયદો થશે.
એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દેશના આદિવાસી પ્રભુત્વ ધરાવતા બ્લોક્સમાં આવેલી છે. અહીં અનુસૂચિત જનજાતિની વસ્તી 50 ટકા અથવા ઓછામાં ઓછી 20,000 થી વધુ છે. અહીં 6 થી 8 સુધીના આદિવાસી બાળકોને શિક્ષણથી લઈને તેમના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન આપવામાં આવે છે.