મને મારવાથી કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે તો હું મરવા તૈયાર છું: કેજરીવાલ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: ગાઝિયાબાદના કૌશાંબી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય પર હિન્દુ રક્ષા દળના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલા બાદ દુ:ખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે શું તેઓ પ્રશાંત ભૂષણની હત્યા કરવા માંગે છે. જો મારામારીથી કાશ્મીરની સમસ્યાનું સમાધાન થઇ શકતું હોય તો હું માર ખાવા માટે તૈયાર છું.
કેજરીવાલે જણાવ્યું કે 'તેઓ શું ઇચ્છે છે, શું તેઓ પ્રશાંતજીને જાનથી મારવા માગે છે. જો તેમને લાગતું હોય કે મને અથવા પ્રશાંત ભૂષણને મારવાથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી જતો હોય તો મને જણાવો કે મારે ક્યારે અને ક્યાં આવવાનું છે. હું ત્યાં આવી જઇશ.'
તેમણે જણાવ્યું કે 'મારે મારા માટે સુરક્ષાની કોઇ જરૂરીયાત નથી પરંતુ હું કાર્યકર્તાઓને પૂછીશ. જો તેમને લાગશે તો હું કાર્યાલય માટે સુરક્ષાની માંગ કરીશ. એવું લાગી રહ્યું છે કે રાજનીતિ કરવામાં આવી રહી છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે હિન્દુ રક્ષા દળે કૌશાંબીમાં સ્થિત આમ આદમી પાર્ટીની ઓફીસ પર હુમલો કર્યો હતો. પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં સેના બંદોબંસ્ત પર જનમત સંગ્રહના નિવેદનને લઇને આ હુમલો કર્યો હતો.