રાજદૂત સહિત 120 અધિકારીઓ સાથે IAFના વિમાને કાબુલથી ઉડાણ ભરી
રાજદૂત સહિત 120 અધિકારીઓ સાથે IAFના વિમાને કાબુલથી ઉડાણ ભરી
અફઘાનિસ્તાનમાં હાલાત ખરાબ થયા બાદ ત્યાં ફસાયેલા ભારતીય અધિકારીઓને દેશ પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજે અફઘાનિસ્તાનમાંથી રાજદૂત સહિત 120 અધિકારીઓને પરત લાવવા માટે ભારતીય વાયુ સેનાનું હેવી વેટ સી-17 વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાણ ભરી ચૂક્યું છે.
નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ઈમરજન્સી ઈવેક્યૂએશનના ભાગરૂપે આ અધિકારીઓને કાબુલથી ભારત લાવવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, પ્રવર્તમાન સંજોગોને જોતા રાજદૂત અને તેમના ભારતીય સ્ટાફને તાત્કાલિક ભારત ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, 'પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કાબુલમાં અમારા રાજદૂત અને તેમના ભારતીય સ્ટાફને તાત્કાલિક દેશ પરત લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.'
નોંધનીય છે કે સોમવારે પણ ભારતીય એરફોર્સનું વિમાન C-17 અફઘાનિસ્તાનથી કેટલાક કર્મચારીઓને ભારત પરત લાવ્યું હતું અને આજે ફરી સી-17 વિમાન આપણા અધિકારીઓને લેવા અફઘાનિસ્તાન ગયું હતું. જેમને હવે આપણા દેશ ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગની અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયાના કલાકો પછી રવિવારે સાંજે તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યો હતો.
નોંધનીય છે કે અગાઉ પણ અફઘાનિસ્તાન પર તાલિબાનનું જ નિયંત્રણ હતું પરંતુ 9/11 વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની આર્મી ખડકી દીધી હતી અને તાલિબાનને સત્તામાંથી હટાવી દીધું હતું.
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, કાબુલની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. તેમણે અગાઉ ટ્વીટ કર્યું હતું કે, "કાબુલની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારત પરત ફરવા માંગતા લોકોની ચિંતાને સમજી રહ્યા છીએ. એરપોર્ટ ઓપરેશન મુખ્ય પડકાર છે. આ મુદ્દે ભાગીદારો સાથે ચર્ચાઓ થઈ રહી છે."
ન્યૂયોર્કની ચાર દિવસીય મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે તેમણે અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન સાથે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું કે, "એન્ટોન બ્લિન્કેન સાથે અફઘાનિસ્તાનની ઘટનાઓ પર ચર્ચા કરી. કાબુલમાં એરપોર્ટ ઓપરેશન પુનઃસ્થાપિત કરવાની તાકીદને હાઈલાઈટ કરી છે. આ બાબતે અમેરિકાના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરીએ છીએ."
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, "અફઘાનિસ્તાનના મુદ્દે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહત્વની ચર્ચા થશે. આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વ્યક્ત કરી. યુએનમાં આ મુદ્દે વાર્તાલાપ થઈ શકે તેવી અપેક્ષા છે.
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુઓ અને સિખ સમુદાયના નેતાઓ સાથે સરકાર સતત સંપર્કમાં છે, તેમનું સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે.