મંત્રીમંડળનું વિસ્તરણઃ ગુજરાતમાંથી દિનશા પટેલ, અનેક નવા ચહેરાઓ સમાવાયા
નવીદિલ્હી, 28 ઑક્ટોબર:સતત ભ્રષ્ટાચારના આરોપો સહન કરી રહેલી કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા આગામી લોકસભા 2014ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. જેમાં કેટલાક યુવા ચહેરાઓને મંત્રી પદ સોંપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાજરીમાં 22 નવા મંત્રીઓએ સપથ ગ્રહણ કર્યા છે.
જે મંત્રીઓએ સપથ ગ્રહણ કર્યા છે તેઓ અનુક્રમે, દિનશા પટેલ(ખેડા, ગુજરાત), કે રહેમાન ખાન, અજય કામન, અશ્વિની કુમાર, પલ્લમ રાજુ, અબુ હાસિમ ખાન, અધીર રંજન ચૌધરી, રાની નરાહ બર્ની, કે. સૂર્યપ્રકાશ રેડ્ડી, તારિક અનવર, કે. કૂનીલ સુરેશ, શશિ થરૂર, ચિંરજીવી, મનીષ તિવારી, ચંદ્રેશ કુમારી કટોચ, હરીશ રાવત,દીપા દાસમુંશી, નિનોંગ એરિંગ, એસ સત્યનારાયણ, ડો. ક્રુપા રવિ કિલ્લિ, પોરિકા બલરામ અને લાલચંદ કટારિયા છે.
આંધ્રપ્રદેશના છ, પશ્ચિમ બંગાળના ત્રણ મંત્રી, કેરળ, પંજાબના બે-બે મંત્રી, ગુજરાત દિલ્હી, ઉત્તરાખંડ, આસામ, અરૂણાચલ, મહારાષ્ટ્રના એક-એક મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 22 નવા મંત્રીઓના સમાવેશમાં આંધ્રપ્રદેશને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના 6 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા માટે પશ્ચિમ બંગાળમાંથી ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મનમોહન સિંહ સરકારના નવા મંત્રીમંડળમાં કરવામા આવેલા ફેરફાર અનુસાર 22 નવા મંત્રીઓમાં સાત કેબિનેટમંત્રી, 13 રાજ્યમંત્રી અને બેને સ્વતંત્ર રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર પોતાના મતવિસ્તારના નેતાને નવા કેબિનેટમાં સ્થાન મળતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કેબિનેટમાં સ્થાન મેળવનાર મંત્રીઓના ઘરની બહાર જાણે કે, જશ્નનો માહોલ હોય તેમ કાર્યકર્તાઓનો જમાવડો થયો છે અને જયજયકારના નારા લગાવવામાં આવી રહ્યાં છે.
નવા મંત્રીમંડળમાં કયા મંત્રીનો ક્યાં સમાવેશ કરાયો
કેબિનેટમંત્રીઃ ચંદ્રેશ કુમારી કટોચ, હરીશ રાવત, દિનશા પટેલ, અશ્વીની કુમાર, પલ્લમ રાજુ, કે. રહેમાન ખાન
રાજ્યમંત્રીઃ દીપા દાસમુંશી, નિનોંગ એરિંગ, એસ સત્યનારાયણ, ડો. ક્રુપા રવિ કિલ્લિ, પોરિકા બલરામ, લાલચંદ કટારિયા, અબુ હાસિમ ખાન, અધીર રંજન ચૌધરી, રાની નરાહ બર્ની, કે. જયસૂર્ય પ્રકાશ રેડ્ડી, તારિક અનવર, કે. કૂનીલ સુરેશ, શશિ થરૂર
સ્વાતંત્ર્ય હવાલો રાજ્યમંત્રી તરીકેઃ ચિંરજીવી અને મનીષ તિવારી
નોંધનીય છે કે મંત્રીમંડળીય ફેરબદલ પહેલાં કેબિનેટમંત્રીઓમાં એસ.એમ. કૃષ્ણા (વિદેશ મંત્રી), અંબિકા સોની (સૂચના પ્રસારણ મંત્રી), મુકુલ વાસનિક (સામાજિક ન્યાય), સુબોધ કાંત સહાય (પર્યટન મંત્રી) રાજ્ય મંત્રી મહાદેવ ખંડેલા (આદિવાસી મામલે), રાજ્ય મંત્રી અગાથા સંગમા (ગ્રામીણ વિકાસ મંત્રી), રાજ્ય મંત્રી વિંસેંટ પાલા (જળ સંશાધન અને અલ્પસંખ્યક)એ રાજીનામા આપ્યાં છે. તેમનું કહેવું છે કે તે હવે પાર્ટી માટે કામ કરશે. એસ.એમ. કૃષ્ણાને સહિત બધાએ પોતાના રાજીનામા વડાપ્રધાન મનમોહન સિંહને આપ્યાં હતા.