કેબિનેટ આજે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર મહોર મારી શકે!
છેલ્લા એક વર્ષથી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા અને તેને પરત ખેંચવાની માંગણી કરી રહ્યા હતા.
નવી દિલ્હી, 24 નવેમ્બર : છેલ્લા એક વર્ષથી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા અને તેને પરત ખેંચવાની માંગણી કરી રહ્યા હતા, જેને આખરે સરકારે સ્વીકારી હતી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન દરમિયાન જાહેરાત કરી હતી. આ દિશામાં આજે કેન્દ્ર સરકાર કેબિનેટની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે તેને મંજૂરી આપી શકે છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રીય કેબિનેટની આજે મળનારી બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે બંધારણીય પદ્ધતિ અપનાવશે અને 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના સત્રમાં તેમને પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ તમામ આંદોલનકારી ખેડૂતોને તેમનું આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. કેન્દ્રીય કેબિનેટ આજે ફાર્મ લો રિપીલ બિલ 2021ને મંજૂરી આપે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સૌને ચોંકાવી દીધા હતા અને ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અચાનક જ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, તે પછી ખેડૂત આગેવાનોમાં થોડી રાહત જોવા મળી રહી છે. જો કે, ખેડૂતો હજુ પણ એમએસપીની ગેરંટી માંગી રહ્યા છે.
બીજી તરફ વડા પ્રધાનની જાહેરાત પછી સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તે છોટુ રામ જયંતિના અવસર પર કિસાન મજદૂર સંઘર્ષ દિવસની ઉજવણી કરશે, એટલું જ નહીં 25 નવેમ્બરે એક વર્ષ પુર્ણ થતા મહા ધરણામાં પણ ભાગ લેશે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે પણ 29 નવેમ્બરે 60 ટ્રેક્ટર સાથે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે અમે લઘુત્તમ ટેકાના ભાવની માંગણી સાથે આ ટ્રેક્ટર માર્ચ કરીશું અને અમને MSPની ખાતરી આપવા માટે સરકાર પર દબાણ કરીશું. આ સાથે રાકેશ ટિકૈતે સ્પષ્ટતા કરી છે કે આ ટ્રેકટરો એ જ રૂટ પર આગળ વધશે જે સરકારે ખોલ્યો છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે અમારા પર ખોટો આરોપ છે કે અમે ટ્રાફિક બંધ કરી દીધો છે. અમારું આંદોલન રસ્તા પર આંદોલન રોકવાનું આંદોલન નથી. અમે સરકાર સાથે વાત કરવા માંગીએ છીએ. વડાપ્રધાને પોતે કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કરી છે, તેથી તેને રદ્દ કરવાની પ્રક્રિયા શિયાળુ સત્ર દરમિયાન પૂર્ણ થઈ શકે છે. રાકેશ ટિકૈતે કહ્યું કે ગત વખતે અમે 200 લોકોએ સંસદ તરફ કૂચ કરી હતી પરંતુ આ વખતે અમે 1000 લોકો સાથે સંસદ તરફ કૂચ કરીશું.