કલ્બે સાદિકે પણ આલાપ્યો 'નમો રાગ', કહ્યું મોદી મુસલમાનો માટે અછૂત નથી
લખનઉ, 26 ઓક્ટોબર: નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની સાથે સાથે કટ્ટર છબિમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. હિન્દુત્વનો રાગ આલાપનાર નરેન્દ્ર મોદીની ઇમેજ હવે મુસ્લિમોની નઝરમાં બદલાઇ રહી છે. તેમની લોકપ્રિયતા હવે મુસલમાનોની વચ્ચે પણ વધતી જઇ રહી છે.
મુસ્લિમ ધર્મગુરુ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના કલ્બે સાદિકે લોકસભા ચૂંટણી પહેલા એવું કહીને સૌને ચોંકાવી દીધા છે કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધા પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મુસ્લિમ સમાજ માટે અછૂત નથી. સાદિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીનો ભૂતકાળ ભૂલાવી શકાય છે જો તે પોતાને બદલે તો અમે પણ ખુદને બદલવા માટે તૈયાર છીએ.
સાદિક કહે છે કે આજે હિન્દુસ્તાનની સામે હિન્દુ અને મુસ્લિમનો પ્રશ્ન નાનો છે, ચીન અને પાકિસ્તાન સામેનો ખતરો મોટો છે. આવામાં મોદી મોટા પ્રશ્નો પર પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે તો વાત આગળ વધી શકે છે.