સાવધાન : ખોટી માહિતી આપનાર ઉમેદવાર ચૂંટણી લડવા ગેરલાયક ઠરશે
આ માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે ખાસ અધિકાર માંગ્યો છે. ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે સોગંદનામામાં જો કોઇ વ્યકિત તેના ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિ અંગે ખોટી માહિતી રજુ કરે તો આવા વ્યકિતને ચૂંટણી લડતા અટકાવવામાં આવે તેમ ચૂંટણી પંચ ઇચ્છે છે. રિ-પ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એકટ હેઠળ હાલ ચૂંટણી પંચ આ મામલે ઉમેદવારને ગેરલાયક ઠેરવી શકતુ નથી. ચૂંટણી પંચ વધુમાં વધુ તો સ્થાનિક પોલીસને વ્યકિતગત સામે કેસ નોંધવા જણાવી શકે.
ધ એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સુપ્રિમ કોર્ટમાં એક અરજી મોકલી હતી. જેના પરિણામ સ્વરૂપ ચૂંટણી પંચે ઉમેદવાર માટે સોગંદનામુ આપવાનું ફરજીયાત બનાવ્યું છે. એસોસીએશનના રાષ્ટ્રીય સંયોજક અનિલ બિરવાલે જણાવ્યુ કે સોગંદનામાના આધાર બનાવી ઉમેદવારને ગેરલાયક ઠેરવવાનો અધિકાર બંધારણ ઉપલબ્ધ કરાવે છે. ચૂંટણીલક્ષી કાયદા બંધારણની આ જોગવાઇને સંપુર્ણ રીતે અનુસરતા નથી.
પરિણામે ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની સામેના ક્રિમીનલ કેસો અંગેની માહિતી સોગંદનામામાં છુપાવનાર ઓછામાં ઓછા 10 જેટલા લોકો ચૂંટાઇ જાય છે. એડીઆરના સુચનોને ધ્યાને લેતા ચૂંટણી પંચે રિ-પ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એકટમાં સુધારો કરી ઇલેકશન રિટર્નીંગ ઓફિસરને કોઇ વ્યકિતને ચૂંટણી લડતા અટકાવી શકે તે માટે લાયક બનાવવાની ભલામણ કરી છે. ચૂંટણી પંચના સેક્રેટરી કે.ઓફ.વીલફેડે જણાવ્યુ કે, ચૂંટણી લડતી વખતે ખોટી માહિતી કે વાસ્તવિક માહિતી કે છુપાવવાને ગંભીર ગુનો ગણવામાં આવશે.