CBI દ્વારા 240 કરોડ રૂપિયાના ગેસ સપ્લાય કૌભાંડમાં કેસ દાખલ
નવી દિલ્હી, 9 જૂન : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સ (કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો - સીબીઆઈ)એ ગૅસ પુરવઠા સંબંધિત 240 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગૅસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લીમીટેડ (ગેઈલ)ના તત્કાલિન જનરલ મેનેજર સામે કેસ નોંધ્યો છે. આ કૌભાંડમાં સાત ખાનગી કંપનીઓએ બનાવટી રજૂઆત તથા બિલમાં ગડબડ-ગોટાળા કરીને આ કૌભાંડ આચર્યું હતું.
સીબીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે, ગેઈલના તે વેળાના જનરલ મેનેજર (પ્રાઈસિંગ) ઈ.વી.એસ. રાવનું નામ સાત કંપનીઓ સાથે ગુનાહિત ષડયંત્ર કરવા બદલ ચમક્યું છે. તેમાં એમએમએસ સ્ટીલ, સાહેલી એક્સપોર્ટસ, કાવેરી ગેસ, કોરોમંડલ ઈલેક્ટ્રીક કંપની, આરકેય એનર્જી, ઓપીજી એનર્જી તેમ જ સાંઈ રીજન્સીએ ગેઈલ સાથે કરેલી ઠગાઈમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ને 240 કરોડ રૂપિયા કરતાં વધુની નુકસાની પહોંચી છે.
આ કેસ નોંધ્યા બાદ સીબીઆઈ દ્વારા આંધ્ર પ્રદેશ, નોઈડા, નવી દિલ્હી તથા મુંબઈ ખાતે 13 સ્થળે શોધખોળ આદરી હતી. ત્યાંથી મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સૂત્રોએ કહ્યું હતું કે, આ કંપનીઓએ વર્ષ 2000માં ગેઈલ સાથે વિવિધ કરારો કર્યા હતા.
આ સોદા અનુસાર, ગેઈલે આ કંપનીઓને ગેસનો ચોક્કસ ક્વોટા પૂરો પાડવાનો હતો. તેના ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરતી હતી. જોકે, આ કૌભાંડમાં સંબંધિત કંપનીઓએ ભરપૂર લાભ ખાટ્યા અને જાહેરક્ષેત્રના એકમને ભારે ખોટ ગઈ હતી.
સૂત્રોએ કહ્યું હતું કે, આ કંપનીને એડમિનિસ્ટરર્ડ પ્રાઈઝ મિકેનિઝમ (એપીએમ) મારફત સસ્તો ગૅસ મળતો હતો. ભારત સરકારની નીતિ અનુસાર તેનો ઉપયોગ ઊર્જા તથા ખાતર ક્ષેત્ર માટે જ કરવાનો હતો. બાદમાં સરકારે નક્કી કર્યું હતું કે, જાહેર
હિતને ધ્યાનમાં રાખીને વર્તમાન જોગવાઈઓની સામે તમામ ઉપલબ્ધ એપીએમ ગેસ માત્ર ઊર્જા અને ખાતર ક્ષેત્રના ગ્રાહકોને પૂરો પાડવામાં આવશે. અદાલતના આદેશ તથા નાના પાયાના ગ્રાહકો સહિત અમુક લોકોને 0.05 એમએમએસસીએમડી સુધી 3200 રૂપિયાના સુધારિત ભાવે ગેસપુરવઠો પૂરો પાડવાનો હતો. બાદમાં ભાવમાં 20 ટકા વધારો કરાયો હતો.
સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે રાવે ઈરાદાપૂર્વક તથા અપ્રમાણિકપણે જૂના ભાવે ગેસ મળે તેમ કર્યું અને કૌભાંડ કર્યા હતા. આ સંબંધિત કૌભાંડમાં જાહેરક્ષેત્રના એકમોને 240 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. પણ એ કંપનીઓએ તો ઊર્જા વેચીને જબરદસ્ત નફો રળવાનું ચાલુ જ રાખ્યું હતું, એમ સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.