GST:મધરાતે યોજાશે વિશેષ કાર્યક્રમ,100 દિગ્ગજ હસતીઓને આમંત્રણ
મોદી સરકાર દ્વારા જીએસટી લાગુ કરતાં પહેલા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલી લોકપ્રિય હસતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
1 જુલાઇ, 2017થી દેશભરમાં જીએસટી(વસ્તુ તથા સેવા કર) લાગુ થશે. દેશના તમામ પરોક્ષ કરની જગ્યા જીએસટી લેશે. 'એક દેશ, એક કર' નીતિ હેઠળ જીએસટી લાગુ કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસોથી વિરોધ અને સમર્થનને કારણે જીએસટી ચર્ચામાં છે. એવામાં નરેન્દ્ર મોદીની સરકાર જીએસટી લાગુ કરતાં પહેલાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવા જઇ રહી છે.
80 મિનિટનો કાર્યક્રમ, 100 હસ્તીઓને આમંત્રણ
1 જુલાઇના રોજ જીએસટી લાગુ થતાં પહેલાં 30 જૂનને શુક્રવારે રાત્રે સંસદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મધરાતે 12 વાગ્યે જીએસટી લોન્ચ કરવામાં આવશે. 80 મિનિટના આ કાર્યક્રમમાં દેશભરની લોકપ્રિય હસતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ હસતીઓમાં મોટા વેપારીઓથી માંડીને ફિલ્મી કલાકારોના નામનો સમાવેશ થાય છે.
આ દિગ્ગજ હસતીઓ રહેશે હાજર
ઉપલબ્ધ જાણકારી અનુસાર, મોદી સરકારે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે દેશની 100 હસતીઓને આમંત્રણ મોકલ્યું છે. ફિલ્મ જગતના લોકપ્રિય સિતારાઓ અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, ઉદ્યોગરપતિ રતન ટાટા, કાયદાશાસ્ત્રી સોલી સોરાબજી, કે.કે.વેણુગોપાલ અને હરિશ સાલ્વે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ, પૂર્વ ગવર્નર સી.રંગરાજન, બિમલ જાલાન, વાઇવી રેડ્ડી અને ડી.સુબ્બારાવ, જીએસટી પરિષદના સભ્યો અને સીઆઇઆઇના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
જીએસટી પર બની ફિલ્મ
આ કાર્યક્રમમાં જીએસટી લોન્ચ થયા બાદ એક-બે મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે. જીએસટી લોન્ચના સમયે મંચ પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સિવાય ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહેશે એમ કહેવાઇ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપશે કે કેમ એ કહી શકાય એમ નથી.
શું છે જીએસટી?
જીએસટી એક પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. જીએસટી હેઠળ વસ્તુઓ અને ઉત્પાદનો પર એક જ પ્રકારનો ટેક્સ લગાડવામાં આવે છે. કોઇ પણ કંપની પોતાના ઉત્પાદનો બીજા રાજ્યમાં વેચે, તો કંપનીએ અનેક પ્રકારના ટેક્સ ચૂકવવાના રહે છે. પરંતુ જીએસટી લાગુ થયા બાદ હવે કંપનીઓએ એક જ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો રહેશે.