ચિદમ્બરમની ફૂંકે કોંગ્રેસી હાંડીમાં ‘ઉકળાટ’
અમદાવાદ, 8 ઑક્ટોબર : કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્બરમને શું સુઝ્યું કે તેમણે નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરવાના ઇરાદે તેમના આડકતરા વખાણ કરી નાંખ્યાં. એક બાજુ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી ચર્ચાનો વિષય બનેલા છે અને લોકપ્રિયતા મુદ્દે મોદી તમામ સર્વેમાં આગળ બતાવાય છે. મોદીની આ તથાકથિત આભાસી આંધીમાં વળી ચિદમ્બરમે ફૂંક મારી અને કોંગ્રેસી હાંડીમાં ઉકળાટ ઊભો થઈ ગયો.
હકીકતમાં પી. ચિદમ્બરમ દ્વારા નરેન્દ્ર મોદીના વખાણ કરાતાં કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર રેલાયાં છે અને શરુઆત થઈ છે મોદીના ગુજરાતમાંથી જ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ચિદમ્બરમના નિવેદન વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. મોઢવાડિયાનું કહેવું છે કે તેઓ ચિદમ્બરમના નિવેદન સાથે સંમત નથી.
ચિદમ્બરમ એમ તો મોદીની ટીકા જ કરી રહ્યા હતાં. તેમનું કહેવુ હતું કે નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લોકપ્રિય નેતા છે અને કોંગ્રેસ માટે પડકારજનક છે. મોદીનો યુવાનોમાં વધુ ક્રેઝ છે. જોકે ચિદમ્બરમ એમ પણ બોલ્યા હતાં કે નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપાઈ તથા લાલકૃષ્ણ અડવાણી જેટલા મોટા નેતા નથી. આમ છતાં ચિદમ્બરમના નિવેદનને મોદીના વખાણ તરીકે લેવામાં આવ્યાં અને આ સાથે જ કોંગ્રેસ પક્ષની અંદર જ તેમના નિવેદન સામે વિરોધ શરૂ થઈ ગયો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે તેઓ ચિદમ્બરમના નિવેદન સાથે સંમત નથી. મોઢવાડિયાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના જે દાવા કર્યા છે, તદ્દન પોકળ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં અનેક ખામીઓ છે અને ગુજરાત કોંગ્રેસ તેમને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરી રહી છે.
જોકે ચિદમ્બરમના નિવેદન સામે કોંગ્રેસની અંદર જ વિરોધ શરૂ થઈ ગયો છે. અગાઉ પણ બિન ભાજપી નેતાઓ દ્વારા મોદીના વખાણ કરાતા વિવાદો ઊભા થતા રહ્યાં છે અને કેટલાંયને તો તેમના પક્ષે જ હાંકી કાઢ્યાં છે. તાજો દાખલો નિતિશ કુમારની જેડીયૂના છેદી પાસવાનનો છે કે જેમણે મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેમને પક્ષમાંથી હાંકી કઢાયા.