TMC-ISFના કાર્યકર્તાઓમાં ઘર્ષણને કારણે પોલીસે કર્યો લાઠીચાર્જ, 19ની ધરપકડ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં TMC અને ISF કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં 19 લોકોની ધરપકડ કરી છે.
પશ્ચિમ બંગાળના પાટનગરમાં તૃણમુલ કોંગ્રેસ અને ઇન્ડિયાન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘર્ષણ એટલુ વધારે હતું કે, પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ISF દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટીએમસીના કાર્યકર્તાઓએ અમારી રેલી દરમિયાન હુમલો કર્યો હતો. જે બાદ બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ISFના કાર્યકર્તાઓ દ્વારા ટીએમસી નેતા અરબુલ ઈસ્લામની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે.
બંને જૂથો વચ્ચે અથડામણ થવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે પોલીસે આ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. ISFના કાર્યકરોનો આરોપ છે કે, આ લોકોએ અગાઉ પોલીસ પર લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
પોલીસે કુલ 19 લોકોની ધરપકડ કરી છે. આ સાથે ISF નેતા અને ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીની પણ અટકાયત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, પીરઝાદા સિદ્દીકીએ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા 21 જાન્યુઆરીના રોજ ભારતીય સેક્યુલર મોરચાની રચના કરી હતી.
પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન TMC કાર્યકર્તાઓ સાથે અથડામણ થઈ હતી. આ પહેલા શનિવારના રોજ દક્ષિણ 24 પરગણાના ભાંગર વિસ્તારમાં TMC અને ISF કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ISF કાર્યકર્તાઓએ કથિત રીતે TMC ઓફિસને આગ લગાવી દીધી હતી.