Climate Change: ગરમી બની જાનલેવા, લૂથી થતા મૃત્યુ વધ્યા, વૈજ્ઞાનિકો પણ ચિંતિત
હવામાનના ઉલટફેરથી માત્ર સામાન્ય માનવી જ નહિ પરંતુ વૈજ્ઞાનિકો પણ ઘણા ચિંતિત છે.
નવી દિલ્લીઃ હવામાનના ઉલટફેરથી માત્ર સામાન્ય માનવી જ નહિ પરંતુ વૈજ્ઞાનિકો પણ ઘણા ચિંતિત છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ લોકોને મે-જૂનવાળી ગરમી સહન કરવી પડી છે. વળી, આ વખતે ચોમાસુ સમય પહેલા કેરળમાં દસ્તક દેવા જઈ રહ્યુ છે. એટલુ જ નહિ બે દિવસ પહેલા રાજધાની જ દિલ્લીમાં પારો 49 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યો હીટવેવનો સામનો કરી રહ્યા છે. વળી, આસામ હાલમાં પૂરની ચપેટમાં છે. હવામાનની ઉથલપાથલે હવામાન વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કરી દીધો છે.
હીટવેવના કારણે થતો મૃત્યુઆંક વધ્યો
તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં હીટવેવને કારણે થતા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. જે એક ખતરાની ઘંટી છે. કેનેડાના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરે હીટવેવ અને તેની આડ અસરો અંગે એક અહેવાલ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં હીટવેવના કારણે મૃત્યુઆંક 2006થી ઝડપથી વધ્યો છે.
2014થી 2017ની વચ્ચે આ ગ્રાફમાં ઝડપથી વધારો થયો
2014 અને 2017ની વચ્ચે આ ગ્રાફ ઝડપથી વધ્યો છે. આ ત્રણ વર્ષમાં હીટવેવને કારણે મૃત્યુની સંખ્યા 4000થી વધુ થઈ ગઈ છે. જે એક વિચારણીય વિષય છે. ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબના રિપોર્ટ અનુસાર ચાર દાયકામાં હીટસ્ટ્રોકથી મૃત્યુદર પ્રતિ મિલિયન એકથી વધીને 62.2 ટકા થઈ ગયો છે. એટલુ જ નહિ હવે રાજ્યોમાં હીટવેવની એવરેજ 7થી વધીને 32 થઈ ગઈ છે, જેનાથી માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જ અસર નથી થઈ રહી પરંતુ તેની અસર ઉત્પાદકતા પર પણ પડી રહી છે.
ડાયેરિયા, ડેેગ્યુ, તાવ અને મેલેરિયાનુ જોખમ વધ્યુ
આબોહવા પરિવર્તનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. વધતા તાપમાનના કારણે એશિયાના લોકોમાં કુપોષણ, માનસિક વિકૃતિઓ, શ્વસન, ડાયાબિટીસ અને ચેપી રોગો તેમજ શિશુ મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. હવામાન પરિવર્તનને કારણે એશિયામાં ઝાડા, ડેન્ગ્યુ તાવ અને મેલેરિયાનું જોખમ વધ્યું છે. સતત ગરમીના દિવસો અને તીવ્ર હીટવેવ ગરમી સંબંધિત મૃત્યુમાં વધારો કરી રહ્યા છે. હીટવેવ અર્થવ્યવસ્થા પર પણ અસર કરે છે.
ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2020 રિપોર્ટ
ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2020ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હવે દક્ષિણ એશિયાના દેશોમાં ગરમી વધુ ઝડપથી વધશે અને જો આ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં શિયાળાના દિવસો ઘટશે જે યોગ્ય નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. દિલીપ માવલંકરે આ વિશે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યુ હતુ કે 'હવે વહીવટી તંત્રએ શહેરમાં મૃત્યુના કારણો પર નજર રાખવી જોઈએ. જેથી જાણી શકાય કે લોકોએ કયા કારણોસર એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ અથવા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જેથી નિષ્ણાતો જાણી શકે કે છેલ્લા 5 વર્ષમાં અસાધારણ ગરમીના કારણે મૃત્યુદર પર કેવી અસર છોડી છે.