અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 10 લોકોના મોતની આશંકા!
પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર અચાનક વાદળ ફાટ્યું હતું. જેના કારણે અચાનક પૂર આવ્યું હતું.
શ્રીનગર, 8 જુલાઈ : પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર અચાનક વાદળ ફાટ્યું હતું. જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. આ ભયંકર પૂરની ઝપટમાં ખીણમાં તંબુઓ આવી ગયા હતા. જેમાં લોકો રોકાયા હતા. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં લગભગ 10 લોકોના મોતની માહિતી સામે આવી છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. પ્રાથમિક માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે લગભગ 12 હજાર મુસાફરો સ્થળ પર હાજર હતા.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના આજે સાંજે સાડા પાંચ વાગ્યે બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા અને ઘાયલ હોવાની માહિતી સામે આવી છે. બચાવ કામગીરી માટે NDRF અને SDRP બચાવ કામગીરીમાં લાગેલા છે. તીર્થયાત્રીઓના અનેક તંબુઓને પણ નુકસાન થયાના અહેવાલ છે. આઈજીપી કાશ્મીરે કહ્યું કે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે કેટલાક લંગર અને તંબુઓ અચાનક પૂરની નીચે આવી ગયા છે. 10 લોકોના મોતના અહેવાલ છે.
પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઉભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બે લંગર પહાડો પરથી આવેલા જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં ધોવાઈ ગયા હતા. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઝડપથી પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. અત્યાર સુધી અનેક યાત્રાળુઓ લાપતા હોવાના અહેવાલ છે. પોલીસ, NDRF અને SF દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે.
મળતી માહિતી મુજબ બાલતાલ જવાના રસ્તે ITBP અને NDRFની ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી છે. ત્યાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે શ્રાઈન બોર્ડ દ્વારા એક હેલ્પ લાઈન પણ જારી કરવામાં આવશે. જેમના સંબંધીઓ ત્યાં ગયા છે તેઓ તે નંબર પરથી માહિતી મેળવી શકે છે.
હાલ દરરોજ લગભગ 15 હજાર ભક્તો બાબાના દર્શન કરવા પવિત્ર ગુફા પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રા એક સપ્તાહ પહેલા 30 જૂને શરૂ થઈ હતી અને એક સપ્તાહમાં ઘણી વખત ખરાબ હવામાનને કારણે રોકવી પડી હતી. 43 દિવસની આ યાત્રા 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષની યાત્રામાં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે.