ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં 51નાં મોત, 125થી વધુ ગુમ
દહેરાદૂન/ઉત્તરકાશી, 14 સપ્ટેમ્બર : ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકો પર આફત ઉતરી છે. રાજ્યના બે જુદા જુદા વિસ્તાર રૂદ્રપ્રયાગ અને ઉત્તરાકાશીમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં કુલ 51 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 125થી વધારે લોકો ગુમ થયા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભરથૂ અસીગંગામાં વાદળ ફાટતા 40 લોકો ભગીરથી નદીમાં તણાઇ ગયા હતા. નદીમાં તણાઇ ગયેલા તમામ લોકો અસી હાઇડલ પ્રોજેક્ટના કર્મચારીઓ હતા. અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત વાદળ ફાટતા 100થી વધારે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર આ દુર્ધટનામાં 31 લોકોનાં મોત થયાં છે અને 5 લોકો ઘાયલ થયા છે.
રૂદ્રપ્રયાગ અને કપકોટમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટતા અનેક ગામોમાં મકાનો જમીનદોસ્ત થયા છે. આ આફતમાં 20થી વધારે લોકોનાં મોત થયાં છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે. હજી અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની શક્યતા છે.
આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે જેના કારણે કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. રાજ્ય સરકારે બચાવ કામગીરીમાં આઇટીબીપીની ત્રણ કંપનીઓને પણ સામેલ કરી છે.
સ્થાનિક સત્તાવાળાઓએ ઉત્તરાકાશીની આસપાસના 10 કિલોમીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. ઉપરાંત ગંગોત્રી અને યમનોત્રી માર્ગને બંધ કરી દીધો છે. ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને પગલે તમામ નદીઓમાં પૂર આવ્યાં છે.