મણિપુરઃ સીએમ બિરેન સિંહે વિધાનસભામાં સાબિત કર્યો બહુમત
ગોવાની માફક જ મણિપુરમાં પણ ભાજપ બીજા નંબરે રહી સરકાર બનાવવામાં સફળ રહ્યું.
સોમવારે મણિપુર ના સીએમ એન.બિરેન સિંહે ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરી દીધો છે. આ સાથે જ મણિપુરમાં પહેલીવાર ભાજપ સરકાર બની છે.
ભાજપે મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠકો જીતી છે. ગોવા ની માફક જ અહીં પણ ભાજપ બીજા નંબરે રહી સરકાર બનાવવામાં સફળ રહ્યું. એનપીએફ અને નગા પીપુલ્સ પાર્ટી(એનપીપી)ના ચાર-ચાર ધારાસભ્યોનું ભાજપને સમર્થન મળ્યું છે.
મણિપુરમાં ગત અઠવાડિયે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકારની રચના થઇ છે. બીએસએફ જવાનમાંથી પત્રકાર અને ત્યાર બાદ નેતા બનેલા એન. બિરેન સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લીધી હતી. રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ બીરેન સિંહ અને અન્ય આઠ મંત્રીઓને પદ અને ગોપનીયતાની શપથ અપાવી હતી. મુખ્યમંત્રીને બહુમત સાબિત કરવા માટે 20 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
અહીં વાંચો - વિવાદિત છે, યુપીના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ?
ભાજપે દાવો કર્યો હતો કે, તેમની પાસે એનપીપીના 4, એનપીએફના 4, લોક જનશક્તિ પાર્ટીના 1, તૃણમૂલ કોંગ્રેસના 1 તથા 1 સ્વતંત્ર ધારાસભ્યનું સમર્થન છે. ભાજપનો આ દાવો આજે સાચો ઠર્યો હતો. એન. બિરેન સિંહે વિધાનસભામાં કુલ 32 ધારાસભ્યોના સમર્થનની મદદથી બહુમત પરિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યું.