Congress Voters Hunt: કોંગ્રેસને ફરી ઉભા થવા મજબૂત વોટબેંકની જરૂર
100 વર્ષથી વધુ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ આજે પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહી છે અને કોંગ્રેસને અરિસો દેખાડતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ
100 વર્ષથી વધુ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ આજે પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહી છે અને કોંગ્રેસને અરિસો દેખાડતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ છે કે કોંગ્રેસને આગામી વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મત આપી શકે તેવા વોટરોની ઓળખ કરી લેવી જોઈએ. દરેક ચૂટંણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસને 2019 લોકસભા ચૂંટણીમાં એક વાર ફરી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે પાર્ટીને 2014ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ આ વર્ષે ઓછી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ મુક્ત ભારતના સપના સાથે કોંગ્રેસનું અસ્તિત્વ સાફ કરવા મથી રહેલી બીજેપી સરકાર તેમાં સફળ રહી છે. જેણે ક્યારેક આખા દેશમાં શાસન કરનારી કોંગ્રેસને આજે માત્ર 5 રાજ્યો પૂરતી સિમિત બનાવી દીધી છે. આવા સમયે કોંગ્રેસના નેતા શશિ થરૂરનું નિવેદન કોંગ્રેસ માટે મહત્વનું છે.

કોંગ્રેસના પતનની શરૂઆત
કોંગ્રેસ પાર્ટીના પતનની શરૂઆત પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વના વર્ષો દરમિયાન શરૂ થઈ હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે પાર્ટીએ બીજેપીના પીએમ પદ ઉમેદવાર નરેન્દ્રમોદી વિરુદ્ધ કુંઠિત પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કર્યુ હતુ. ત્યારથી જ કોંગ્રેસની હારનો સીલસીલો અટકવાનું નામ લેતો નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 'મોતનો સોદાગર', 'ખૂનનો દલાલ' જેવા નિવેદનોએ જ બીજેપીને માત્ર ગુજરાત જ નહિં પણ નરેન્દ્ર મોદી-શાહની જોડીને કેન્દ્રની સત્તા સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યુ છે.

કોંગ્રેસ દરેક મોરચે ધરાશાયી
રાષ્ટ્રવાદના નારા પર સવાર બીજેપી સામે કોંગ્રેસ પાર્ટી દરેક મોરચે ધરાશાયી થઈ છે. એટલું જ નહિં તેના કોર વોટર પલ્લો ઝાડી બીજેપી પાસે જતા રહ્યા. જે માટે બીજેપીની રાષ્ટવાદી રાજનીતિ અને બહુસંખ્યક હિદુઓના મુદ્દા પ્રમુખ કારણો હતા. ત્યારથી આજ સુધી કોંગ્રેસનો હાથ ખાલી જ છે.

કોંગ્રેસને તેના વોટર ઓળખવાની જરૂર
કોંગ્રેસને તેના વોટરની ઓળખ કરવાની સલાહ આપનારા શશિ થરૂર જાણે છે કે કોંગ્રેસનું કોર વોટર સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયુ છે. 2014 લોકસભા ચૂંટણી અને હાલમાં જ થયેલ 2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીની પ્રચંડ જીત અને કોંગ્રેસ સહિત સપા, બસપા અને અન્ય વિપક્ષી પાર્ટીઓની હાર તેના સબૂત છે. કોંગ્રેસ પાસે હવે ખોવા માટે કંઈ બચ્યુ નથી.

અમેઠીની સીટ હાથમાંથી સરકી ગઈ
કદાચ એટલે જ શશિ થરૂર કોંગ્રેસના મુખ્ય નેતાઓને આત્મમંથનની સલાહ આપી રહ્યા છે. યુપી કે જે કેન્દ્રની સત્તા પર પહોંચવાની સીડી છે તેને દૂર સુધી છોડી ચૂકેલી કોંગ્રેસે ફરી યુપી પર પોતાની પક્કડ જમાવવા માટે આગામી ચાર વર્ષ સખત મહેનત કરવી પડશે. કારણ કે કોંગ્રેસનો ગઢ ગણાતું અમેઠી પણ તેમના હાથમાંથી નીકળી ગયુ છે. ત્યાં જ રાયબરેલીની સીટ માટે સોનિયા ગાંધીએ જીત મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા.

તમામ ફોકસ 3 આગામી વિધાનસભા ચૂંટણી પર
કોંગ્રેસ પાર્ટીએ અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયાને ચૂંટ્યા છે ત્યારે તેમનું તમામ ફોકસ 3 વિધાનસભામાં થનારી આગામી ચૂંટણી પર છે. તેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડના પ્રદેશ શામેલ છે. જ્યાં હજુ પણ બીજેપી અને એનડીએની સરકાર છે અને એવું મનાઈ રહ્યુ છે કે બીજેપી એકલી હરિયાણા અને ઝારખંડમાં ચૂંટણી સરળતાથી જીતી લેશે જ્યારે મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાનું ગઠબંધનને હરાવવાની તાકાત કોંગ્રેસમાં નથી.

દિલ્હી વિધાનસભા
કોંગ્રેસની સ્થિતિ 2020માં થનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નબળી છે. કારણ કે લડાઈ માત્ર અને માત્ર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે મનાઈ રહી છે. કારણ કે શિલા દિક્ષિતના અવસાન બાદ પાર્ટી પાસે દિલ્હીનો ચહેરો બની શકે તે માટે અજય માકનને છોડી કોઈ બીજો નેતા બચ્યો નથી અને અજય માકન પોતાના દમ પર કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડવા માટે પૂરતા નથી.

નરેન્દ્ર મોદીને ખલનાયક ચિતરવાથી કંઈ હાંસલ થશે નહિં
વાસ્તવમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે ઉપરોક્ત નિવેદન કંટાળીને આપ્યુ છે, જેમાં તેમની પાર્ટીના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે આપેલા નિવેદનોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. હાલમાં જ શશિ થરૂરે પાર્ટી નેતા જયરામ રમેશની એક ટિપ્પણીનું સમર્થન કર્યુ હતુ, જેમાં રમેશનું કહેવું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હંમેશા ખલનાયકની જેમ રજૂ કરવાથી પાર્ટીને કંઈ હાંસલ થશે નહિં.
બુધવારે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એનએસયુઆઈ તરફથી આયોજીત એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યુ કે કોઈ એક ઉદાહરણ આપો કે જ્યારે તેમણે મોદી સરકારનું સમર્થન કર્યુ હોય. તેમણે કહ્યુ કે મિડિયામાં આવેલી ખબરોની મુશ્કેલી એ છે કે તે સંપૂર્ણ નિરાધાર હોય છે અને જ્યારે મિડિયા આવું કહે છે તેમણે મોદીના વખાણ કર્યા ત્યારે તેમને દુઃખ થાય છે.

જનમતને ફરી પોતાના તરફ વાળવું
જયરામ રમેશની ટિપ્પણી પર થરૂર બોલ્યા કે મેં એવું કહ્યુ હતુ કે આપણો સિદ્ધાંત લોકો મોદીને કેમ મત આપી રહ્યા છે તે સમજવાનો હોવો જોઈએ, નહિં કે કોંગ્રેસને 2014 લોકસભા ચૂંટણીમાં માત્ર 19 ટકા મત અને 2019માં 19 ટકા મત જ કેમ મળ્યા, જ્યારે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ભાજપને 2014માં 31 ટકા અને 2019માં 37 ટકા મત મેળવવામાં સફળ રહ્યુ. થરૂરે કહ્યુ કે કોંગ્રેસે જે લોકો કોઈને કોઈ કારણે કોંગ્રેસને છોડી બીજેપીને મત આપવા લાગ્યા તે લોકોને પોતાના તરફ ખેંચવા પડશે.

મોદીની સફળતાના કારણો
વાસ્તવમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ હતુ કે મોદી સરકારનું મોડલ સંપૂર્ણ રીતે નકારાત્મક ગાથા નથી અને તેમના કામના મહત્વને ન સ્વીકારવું અને પાર્ટીના નેતાઓ દ્વારા દરેક સમયે તેમને ખલનાયકની જેમ રજૂ કરવાથી કંઈ હાંસલ થવાનું નથી. રમેશે એ પણ કહ્યુ કે આ સમયે આપણે મોદીના કામ અને 2014થી 2019 વચ્ચે તેમણે જે કર્યુ તેના મહત્વને સમજવાની છે, જેને કારણે તેઓ સત્તામાં પાછા ફર્યા. કારણ કે આજ કારણોથી 37 ટકા મતદાતાઓએ તેમને મત આપી ફરી સત્તામાં વાપસી કરાવી હતી.
આ પણ વાંચો: નિધન પછી પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા રામ જેઠમલાની












Click it and Unblock the Notifications
