રામ મંદિર પર આતંકી હુમલાનું ષડયંત્ર, જાહેર કર્યું એલર્ટ
અયોધ્યામાં જે સ્થળે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં સુરક્ષા પહેલેથી જ કડક છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકી હુમલા અંગે ગુપ્તચર સંસ્થાઓએ એલર્ટ આપ્યું છે. આ સાથે રામ મંદિર પર મોટો આતંકી હુમલો કરવાના ષડયંત્રનો પણ ખુલાસો કર્યો છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને આ હુમલા અંગેના ઇનપુટ મળ્યા છે.
આ સાથે તેમને એવી પણ જાણકારી મળી છે કે, આ હુમલો સ્યુસાઇડ બોમ્બર મારફતે હુમલો કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી રામ મંદિરનું નિર્માણ 50 ટકાથી વધુ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ સાથે રામ મંદિર વર્ષના અંતમાં તૈયાર થઇ જશે.
એલર્ટ બાદ પોલીસે સુરક્ષા સઘન કરી
અયોધ્યામાં જે સ્થળે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં સુરક્ષા પહેલેથી જ કડક છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે અને હુમલાખોરો તેમના મનસૂબામાં સફળ ન થાય, તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.
જૈશ એ મોહમ્મદે ઘડ્યું હુમલાનું કાવતરું
ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાનું કાવતરું ઘડ્યું છે.
નેપાળથી ભારતમાં પ્રવેશી શકે છે આતંકવાદીઓ
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલાને અંજામ આપવા માટે આતંકીઓ પાકિસ્તાનથી નેપાળ અને નેપાળ થઈને ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ નેપાળના રસ્તે ભારતમાં આત્મઘાતી ટુકડી મોકલીને હુમલાની યોજના બનાવી રહ્યું છે.