હૃદયરોગના હુમલાના કારણે થયું'તુ કોન્સ્ટેબલ સુભાષનું મોત!
આરએમએલના ડોક્ટર્સનું કહેવું છે કે તેમને કોઇ ફ્રેક્ચર નહોતું. ચેસ્ટ રિપોર્ટમાં કોઇ ફ્રેક્ચર જોવા મળ્યું નહોતું. તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તે બેભાન થઇ ગયા હતા. તેમને હૃદયની બીમારીની સારવાર ચાલી રહી હતી. આ ઉપરાંત તેમને અન્ય કોઇ ગંભીર સમસ્યા નહોતી.
આરએમએલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ટીએસ સિદ્ધુનું કહેવું છે કે કોન્સ્ટેબલ સુભાષને વેન્ટિલેટર સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે હોસ્પિટલના ડોક્ટર્સે સુભાષ તોમરનું એક્સરે અને અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે દિલ્હી પોલીસ કમિશનર નીરજ કુમારનું કહેવું હતું કે કોન્સ્ટેબલ સુભાષ તોમરનું મોત ઇજાના કારણે થયું હતું.
'પ્રદર્શનકારીઓની પાછળ દોડતી વેળા પડી ગયા હતા સુભાષ'
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ સુભાષ તોમરના નિધનને લઇને એક પ્રત્યક્ષદર્શીએ ખુલાસાથી દિલ્હી પોલીસે જણાવેલી કહાણી સામે પ્રશ્નો ખડા કર્યા છે. દિલ્હીના યમુના વિહારમાં રહેતા યુવક યોગેન્દ્રએ ખુલાસો કર્યો છે કે તે સમયે ઇન્ડિયા ગેટ પર તે હાજર હતા. યોંગેન્દ્રએ કોન્સ્ટેબલ સુભાષ તોમરની મોતને હત્યા ગણાવવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે.
યોગેન્દ્રએ જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓની ભીડ પાછળ પોલીસ આવી રહી હતી. જેમાં કોન્સ્ટેબલ તોમર પણ ભાગી રહ્યાં હતા અને અચાનક તે પડી ગયા હતા, પરંતુ પોલીસ કર્મીઓએ એ વાતની નોંધ લીધી નહીં. યોગેન્દ્રએ દાવો કર્યો છે કે તેમની સાથે કોઇએ મારપીટ કરી નથી, પરંતુ યોગેન્દ્ર અને તેની આસપાસ રહેલા પ્રદર્શનકારીઓએ તેમને મદદ કરી હતી. દુઃખાવો ઓછો કરવા માટે તેમની છાતીએ હાથ ફેરવવામાં આવ્યો, પગની પેણી ઘસવામાં આવી અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.