જેલમાં આખી રાત જાગતા રહ્યા બાબા રામ રહીમ
બળાત્કારના કેસમાં દોષી જાહેર થયેલ ગુરમીત રામ રહીમને મળી નવી ઓળખાણ, કેદી નં. 1997
સાધ્વી પર બળાત્કારના કેસમાં દોષી સાબિત થયેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ રોહતક જેલમાં છે. તેમના અનુયાયી અને સમર્થકોએ પંજાબમાં તોફાન માંડ્યુ છે, તો બીજી બાજુ રામ રહીમને જેલમાં ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી હતી, પરંતુ હરિયાણા પોલીસ મુખ્ય સચિવ ડી.એસ.ધેસીના જણાવ્યા અનુસાર રામ રહીમને આપવામાં આવેલ ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રોહતકની જેલમાં તેમને કોઇ ખાસ સુવિધા આપવામાં નથી આવી.
પંજાબ અને હરિયાણામાં થયેલા તોફાનમાં 36 લોકોનું મૃત્યુ થયું છે અને 269 ઇજાગ્રસ્ત થયા છે.
કેદી નંઃ 1997
આખા વિશ્વમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ અને સમર્થકો ધરાવતા રામ રહીમને શુક્રવારે સીબીઆઇ અદાલત દ્વારા દોષી જાહેર કરાતાં તેમને હવાઇ માર્ગે રોહતક જેલ સુધી લઇ જવાયા હતા. જ્યાં તેમને નવી ઓળખાણ મળી છે, કેદી નંઃ 1997. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે જેલમાં રાત્રે માત્ર એક રોટલી અને એક ગ્લાસ દૂધ જ લીધું હતું. તેઓ આખી રાત જાગતા રહ્યા હતા. સવારે 5 વાગે તેમણે એક કલાક યોગા કર્યું અને ત્યાર બાદ થોડી વાર સુઇ ગયા હતા.
જેલમાં VVIP ટ્રીટમેન્ટ
રામ રહીમની સજા 28 ઓગસ્ટના રોજ નક્કી થશે. આ માટે તેઓ અદાલતમાં હાજર નહીં રહે. સૂત્રો અનુસાર અદાલત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુરમીત રામ રહીમને સજા સંભળાવશે. રામ રહીમને જે સેલમાં રાખવામાં આવ્યા છે, તેની ક્ષમતા 12 કેદીઓની છે, પરંતુ હાલ એ સેલમાં તેઓ એકલા જ છે. એવા સમાચાર હતા કે, રામ રહીમને જેલમાં વીવીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી છે, પરંતુ હરિયાણા પોલીસે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, રામ રહીમ દોષી જાહેર થતાં જ તેમની ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવાઇ હતી અને જેલમાં પણ તેમની સાથે સામાન્ય કેદીની માફક જ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમને કોઇ ખાસ સુવિધા આપવામાં નથી આવી.