મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી વધતા કેસો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક, 5 દિવસમાં 50 ટકા કેસ વધ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ દરમિયાન કોરોનાને રોકવાના ઉપાયોની સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન એ ચર્ચા પણ કરવામાં આવી કે શું સંક્રમણને રોકવા માટે કોઈ નવા પ્રતિબંધની જરુર છે કે પછી અનિવાર્ય માસ્ક જ પૂરતુ છે કારણકે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ભરતી થવાની સંખ્યામાં હજુ સુધી કોઈ વધારો થયો નથી.
તમને જણાવી દઈએ કે સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1036 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. સાત દિવસના સરેરાશ કેસની વાત કરીએ તો 26 ફેબ્રુઆરી પછી આ સૌથી વધુ કેસ છે. અધિકારીઓનુ કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કેસમાં વધારો થયો છે. ઓમિક્રોનના નવા પ્રકારો BA.4 અને BA.5 એ પણ મહામારીને વધારવામાં ભૂમિકા ભજવી છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે જો કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે સરેરાશ હોસ્પિટલમાં દાખલ થવાનુ પ્રમાણ ઘણુ ઓછુ છે. ડેટા મુજબ માત્ર 1 ટકા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તેથી સંક્રમણ બહુ ગંભીર નથી તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈમાં કોરોનાના 24579 કેસ છે, જેમાંથી માત્ર 0.74 ટકા એટલે કે 185ને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. શહેરમાં 4768 ઓક્સિજન બેડ છે જેમાંથી માત્ર 14 દર્દીઓને તેની જરૂર છે.
સોમવારે મુંબઈમાં કોરોનાના 676 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં 1036 કેસ નોંધાયા હતા. એટલે કે સમગ્ર રાજ્યમાં કોરોનાના 60-70 ટકા કેસ એકલા મુંબઈ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં રાજ્યની કોરોના સ્થિતિનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કહ્યુ કે છેલ્લા 7 દિવસમાં રાજ્યના કુલ કેસની સરખામણીમાં 67.28 ટકા કેસ એકલા મુંબઈમાં આવ્યા છે. તે જ સમયે, થાણેમાં 17.17 ટકા, પુણેમાં 7.43 ટકા, રાયગઢમાં 3.36 ટકા, પાલઘરમાં 2 ટકા કેસ નોંધાયા છે.