Coronavirus: દેશમા વિદેશી મુસાફરો માટે ગાઈડલાઈન્સ જાહેર, જાણો કયા રાજ્યમાં શું છે નિયમ
ચીનમાં કોરોનાના મહાવિસ્ફોટ બાદ દેશમાં સરકારો એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોનાને લઈને વિદેશ મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.
Coronavirus Guidelines: ચીનમાં કોરોના વાયરસના સંક્રમણથી હાહાકાર મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ મુજબ અહીં રોજ લાખો કેસ આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં મોત થઈ રહ્યા છે. ચીનમાં આટલી મોટી સંખ્યામાં કોરોના કેસોએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. ચીનમાં કોરોના કેસોના કહેરના કારણે હવે ભારત પણ એલર્ટ થઈ ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક બોલાવી હતી.
આ સાથે જ દેશમાં વિદેશી મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે 24 ડિસેમ્બરથી લાગુ થશે. નવી ગાઈડલાઈન્સ મુજબ ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2% મુસાફરોને એરપોર્ટ પર આગમન પર કોવિડ ટેસ્ટ કરાવવા માટે આવા મુસાફરોના નમૂના લીધા પછી એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે. એરલાઇન દ્વારા આવા મુસાફરોની ઓળખ કરવામાં આવશે, જેમને સેમ્પલ આપ્યા બાદ એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે. પોઝિટિવ આવતા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.
પીએમ મોદીની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત આરોગ્ય વિભાગ અને મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા દિગ્ગજોએ પણ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પીએમએ લોકોને ભીડવાળા જાહેર સ્થળોએ માસ્ક પહેરવા વિનંતી કરી. તેમણે કોરોના ટેસ્ટિંગ અને જીનોમિક સિક્વન્સિંગ વધારવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ખાસ કરીને નબળા અને વૃદ્ધ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે 'સાવચેતીના ડોઝ' લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને કોરોના સામે લડવા માટે હાલની સુવિધાઓની સમીક્ષા કરવાની સલાહ આપીને કહ્યુ કે ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, વેન્ટિલેટર અને માનવ સંસાધન સહિત હૉસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતા સુનિશ્ચિત કરવી જોઈએ.
દેશના દરેક રાજ્યો પણ કોરોનાને લઈને એલર્ટ થઈ ગયા છે. આ સાથે ઘણા રાજ્યોએ બચાવ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આવો જાણીએ કે તમારા રાજ્યમાં કોરોનાને લઈને શું માર્ગદર્શિકા છે?
દિલ્લી
દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે કોરોનાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે કોરોનાથી ડરવાની જરૂર નથી. અમે તેની સામે લડવા તૈયાર છીએ. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે લોકોને બૂસ્ટર ડોઝ લેવા જણાવ્યુ હતુ. આ સાથે તેમણે કહ્યુ કે અમે 36000 કોવિડ બેડની ક્ષમતા વધારવામાં લાગી ગયા છીએ. જોકે, રાજ્યમાં કોરોનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનુ ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ નિર્ણય ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાની સમીક્ષા બેઠકમાં લીધો હતો. સમીક્ષા બેઠકમાં નવા કેસની જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને બુસ્ટર ડોઝ મેળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ સરકાર પણ કોરોના સામેની લડાઈને લઈને એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓના કંટ્રોલ રૂમને ફરીથી સક્રિય કરવા સૂચના આપવામાં આવી હતી. આ માટે નવા પોઝિટિવ કેસોનુ જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કર્ણાટક
દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. કોરોના સમીક્ષા બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી કે. સુધાકરે નિર્દેશ આપ્યા કે સરકાર રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ ધરાવતા તમામ દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરાવશે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ 4000 સેમ્પલનુ પરીક્ષણ કરવા અને નવા કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે.
કેરળ અને મહારાષ્ટ્ર
કેરળ અને મહારાષ્ટ્ર સરકારો પણ કોરોનાથી બચાવને લઈને એલર્ટ મોડમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહ્યુ કે લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યુ કે રાજ્યમાં નવા કેસોનુ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. નોડલ અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
પંજાબ
પંજાબની માન સરકાર પણ કોરોના વાયરસના સંક્રમણને લઈને એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવામાં આવી છે. આ સાથે નવા પૉઝિટિવ કેસોના જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.
ઓડિશા
ઓડિશાની પટનાયક સરકાર પણ કોરોના સામેની લડાઈને લઈને એલર્ટ થઈ ગઈ છે. અહીં પણ નવા કોરોના સંક્રમિત દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.