જોશીમઠમાં સેનાની બિલ્ડીંગોમાં તિરાડો ચિંતાજનક નહીં-સેના પ્રમુખ
જોશીમઠમાં આવેલી ભારતીય સેનાની બિલ્ડીંગો સુરક્ષિત હોવાનું સેના પ્રમુખે જણાવ્યુ છે. તેમને કહ્યું કે, જરૂર પડશે જો સેનાને અન્ય જગ્યાએ ખસેડાશે.
જોશીમઠમાં મકાનોમાં તિરાડો પડવાને લઈને ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત મકાનોને ધરાસાઈ કરવાની વાતો વચ્ચે હવે સેના પ્રમુખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ છે કે સેનાના મકાનોમાં સ્થિતી ચિંતાજનક નથી. અહીં તમને જણાવી દઈએ કે, જોશીમઠમાં મકાનોમાં તિરાડો પડવાની ખબરો વચ્ચે સેનાની બિલ્ડીંગોમાં પણ તિરાડોના સમાચાર સામે આવ્યા હતા. હવે ભારતીય સેના પ્રમુખે કહ્યું છે કે, કોઈપણ સ્થિતીને પહોંચી વળવા સેના તૈયાર છે.
જોશીમઠમાં સ્થિતી ગંભીર છે ત્યારે હવે સામે આવી રહેલા ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર સેના પ્રમુખ મનોજ પાંડેએ કહ્યું છે કે, 25-028 ઇમારતોમાં નાની તિરાડો પડી છે અને ટુકડીઓને અસ્થાયી રૂપે ખસેડાઈ છે. જરૂર પડશે તો તેને કાયમ માટે ઓલીમાં શિફ્ટ કરાશે.
અહીં જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, જ્યાં સુધી જોશીમઠમાં બાયપાસ રોડની વાત છે તો તેનું કામ હંગામી ધોરણે બંધ કરી દેવાયુ છે. આનાથી આગળના વિસ્તારોમાં અમારી પહોંચ અને ઓપરેશનલ સજ્જતાને અસર થઈ નથી. તેમણે આશ્વાસન આપ્યું છે કે સેના સ્થાનિક વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરશે. અહીં આર્મી ચીફે ચીન સાથેની ઉત્તરાખંડ સરહદ અને LAC વિવાદ પર પણ ટિપ્પણી કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે જોશીમઠમાં પહાડોની નીચેથી સતત પાણીના પ્રવાહ અને ઈમારતોમાં તિરાડો પડવાની તસવીરો સામે આવી રહી છે. સ્થાનિક પ્રશાસને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર યોગ્ય અને પર્યાપ્ત વળતરની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી તેઓ તેમના ઘર અને મિલકતો છોડીને નહીં જાય. આ યાદીમાં ઘણી હોટેલો પણ એ ઈમારતોમાં સામેલ છે જેને તોડી પાડવા માટે ખતરનાક ગણાવાઈ છે.
આ મુદ્દો ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, લોકોને નવેસરથી સેટલ કરવા માટે એક ફૂલપ્રૂફ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પર IIT કાનપુરના એક વૈજ્ઞાનિકનું માનવું છે કે સ્થાનિક ઇકોલોજીમાં સતત વિક્ષેપને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. તેમણે જણાવ્યું કે, બાંધકામના કામ દરમિયાન ઘણી વખત બ્લાસ્ટિંગ અને વોટર બ્લોકિંગ જેવી પ્રવૃત્તિઓ થાય છે, તેની ભવિષ્યમાં શું અસર થશે, તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાતું નથી.