જાગૃતિ સિંહની ક્રુરતા : નોકરાણીઓને જબરદસ્તી પેશાબ પીવડાવતી
નવી દિલ્હી, 8 નવેમ્બર : ઉત્તર પ્રદેશમાં બસપાના સાંસદ ધનંજય સિંહની નોકરાણીની હત્યાના કેસમાં રૂવાડા ઉભા કરી દે તેવા નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આવો જ એક સનસનાટી મચાવનારા ખુલાસામાં હોસ્પિટલમાં દાખલ થયેલી બીજી એક નોકરાણી મીનાએ મેજીસ્ટ્રેટ સમક્ષ જણાવ્યું હતું કે સાંસદનો ૩ વર્ષનો પુત્ર જો પેશાબ કરતી વખતે રડવા લાગે તો જે નોકર કે નોકરાણી તેને પેશાબ કરવા લઇ ગયા હોય તેને પેશાબ પીવા માટે ફરજ પાડવામાં આવતી હતી.
સગીરા નોકરાણીના નિવેદન પર ચાણકયપુરી પોલીસે જે એફઆઇઆર નોંધી છે. સગીરાએ કહ્યું છે કે રસોઇ યોગ્ય ન થાય તો સાંસદની પત્નિ જાગૃતિએ નોકરાણી એટલે કે રાખીની સાવરણીથી પીટાઇ કરતી હતી અને તેના વાળ કાપી નાખ્યા હતા. એક વખત રાખીને એટલી હદે માર મરાયો હતો કે લાકડી તુટી ગઇ હતી.
ઘરમાં ભાભીજીના નામથી જાણીતી ડો.જાગૃતિસિંહે પોતાની બંને નોકરાણી રાખી ભદ્રા, મીના અને સગીર નોકરને પોતાના ૩ વર્ષના પુત્રનો પેશાબ પીવડાવ્યો હતો. ત્રણેયની ભુલ એ હતી કે તેઓ જાગૃતિના રડતા પુત્રને ચુપ કરાવી શકયા ન હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નોકરાણી મીના અને સગીર નોકરે પોલીસને જણાવ્યું છે કે ભાભીજી વારંવાર અમને કહેતા કે જો તમે ઘરની બહાર જશો તો બહાર તૈનાત નાગાલેન્ડ પોલીસના ગાર્ડ તમને ગોળી મારી દેશે તેથી તેઓ સતત ભયમાં જીવતા હતા. ત્રણેય નોકરોને પોતાના ઘરે ફોન કરવાની પણ મનાઇ હતી. એક રીતે ત્રણેય નોકરોને જાગૃતિએ પોતાના ઘરમાં કેદ કરી રાખ્યા હતા.
પોલીસે જણાવ્યું કે મેં મહિનામાં જાગૃતિનો સગીર નોકર એકવેરીયમમાં પાણી ભરતો હતો ત્યારે તેનાથી ભુલ થઇ તો જાગૃતિને ગુસ્સો આવ્યો અને જાગૃતિએ લોઢાની સાણસી નોકરના મોઢામાં નાંખી હલાવી હતી જેનાથી તેના હોંઠ કપાઇ ગયા હતા અને લોહી નીકળ્યું હતું.
સગીર નોકરે મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે કે જાગૃતિ તેઓને એક પૈસો પણ આપતી ન હતી. જો કે મારા ઘરે દર મહિને 2000 મોકલતી હતી. જયારે અમારાથી ભુલ થાય તો અમને ખાવા ન અપાતુ અનેક વખત ભુખ્યા સુવુ પડતુ, નોકરના માથા પર ઇજાના આઠ નિશાન મળ્યા છે. તેઓના વાળ જાગૃતિ ખુદ ઘરમાં કાપતી હતી. મીના અને આ નોકરને શોર્ટ પણ આપવામાં આવ્યો હતો.
ત્રણ-ચાર દિવસ પહેલા જ લોઢાના બનેલા હરણના કૃત્રિમ શીંગડાથી સગીરને પીટવામાં આવ્યો હતો. જયારે ત્રણેય નોકરો સાંસદને ફરિયાદ કરતા તો તેઓ પણ ધ્યાન આપતા ન હતા. પોલીસે સાંસદ વિરૂધ્ધ કલમ-120 એટલે કે હત્યાના ષડયંત્રમાં સામેલ થવા અને જાગૃતિ પર પોકશો અને યૌનશોષણની કલમો લગાડવાની તૈયારીઓ કરી રહી છે. નોકરાણી મીનાએ કહ્યું હતું કે સાંસદ પણ મારપીટ કરતા હતા. જાગૃતિને તેઓ રોકતા ન હતા.