Delhi Election 2025 : દિલ્હીમાં બીજેપીનો ખેલ બગાડી શકે છે કોંગ્રેસ, જાણો કેવી રીતે?
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચુકી છે. હાલની સ્થિતીએ અહીં કોંગ્રેસ ઘણા સમીકરણ બદલી શકે છે.
દિલ્હીમાં એક તરફ સત્તા જાળવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં છે તો બીજી તરફ બીજેપી કોઈપણ સંજોગોમાં સત્તા ઈચ્છે છે. આ બન્ને વચ્ચે કોંગ્રેસનો રોલ મહત્વનો બની ગયો છે.

આમ આદમી પાર્ટી એન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે તો બીજેપી 1998થી સત્તા બહાર છે. કોંગ્રેસ પણ 10 વર્ષના વનવાસ પછી સત્તામાં પરત ફરવા ઈચ્છે છે. કોંગ્રેસ આ વખતે જે રીતે ચૂંટણી રણનીતિ અપનાવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે બીજેપી માટે સ્થિતી સારી નથી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપના કટ્ટર વિરોધીઓ છે. બંને ઈન્ડિયા બ્લોકમાં સામેલ છે અને તેમના નેતાઓ દરેક ભાજપ વિરોધી મંચ પર એક સાથે જોવા મળે છે. બન્ને પાર્ટીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકસાથે અવાજ ઉઠાવે છે.
જો કે તેનાથી વિપરીત દિલ્હીમાં બન્ને અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. હકીકત એ છે કે લગભગ 6 મહિના પહેલા દિલ્હીમાં જ લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન હતું.
કોંગ્રેસે જૂના જોગીઓ પર દાવ લગાવ્યો
- કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 70 બેઠકોમાંથી 21 ઉમેદવારોની તેની પ્રથમ યાદીમાં નવી દિલ્હીથી પૂર્વ સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી અરવિંદ કેજરીવાલ પોતે સતત ચોથી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
- આ યાદીમાં પૂર્વ મંત્રી હારૂન યુસુફને બલ્લીમારનથી અને ચૌધરી અનિલ કુમારને પટપરગંજથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 26 ઉમેદવારોની બીજી યાદીમાં ઓછામાં ઓછા પાંચ પૂર્વ ધારાસભ્યો અને ત્રણ પૂર્વ કાઉન્સિલરોને ટિકીટ અપાઈ છે.
- આ લિસ્ટમાં પૂર્વ ધારાસભ્ય મુકેશ શર્મા અને રાજેશ લિલોથિયા સામેલ છે. આ દિલ્હી કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એ જ રીતે જંગપુરાથી મનીષ સિસોદિયા સામે પૂર્વ મેયર ફરહાદ સૂરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
- દિલ્હીની રાજનીતિના આ મોટા ચહેરાઓને સત્તા વિરોધી ગમે તેટલા મત મળે આખરે ભાજપની આશાઓ પર પાણી ફરી વળશે તે નક્કી છે.
આમ આદમી પાર્ટીમાંથી આવેલા નેતાઓ પર વિશ્વાસ
- આ યાદીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ત્રણ પૂર્વ ધારાસભ્યો પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિજવાસનથી દેવેન્દ્ર સેહરાવત, મતિયા મહેલથી અસીમ અહેમદ ખાન અને બાબરપુરથી મોહમ્મદ ઈશરાક ખાનને ટિકિટ આપી છે. આ તમામે 2015માં AAPની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
- આ તમામ નેતાઓ પાસે પોતાની સીટ પર સમર્થન છે. જો આના કારણે આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોના વોટમાં ઘટાડો થવાની સંભાવના છે, તો કોંગ્રેસે સત્તા વિરોધી મતો ભાજપમાં ટ્રાન્સફર થવાની સંભાવનાને ખાળવા એક ચાલ હાથ ધરી છે.
- પાર્ટીએ પહેલા જ સીલમપુરથી AAPના પૂર્વ ધારાસભ્ય અબ્દુલ રહેમાનને ટિકિટ આપી છે. માનવામાં આવી રહ્યું છે કે સીમાપુરીથી આગામી લિસ્ટમાં પૂર્વ AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું નામ પણ હોઈ શકે છે. જો કે હાલમાં તેઓ તૈયાર ન હોવાની માહિતી મળી રહી છે.
- પાર્ટીના સૂત્રો અનુસાર, કોંગ્રેસ ચાંદની ચોકના પૂર્વ ધારાસભ્ય અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાને કાલકાજીમાં મુખ્યમંત્રી આતિષી માર્લેના સામે મેદાનમાં ઉતારવા માંગે છે. અહેવાલો અનુસાર, હાલ અલકા આ માટે તૈયાર નથી.
- પરંતુ જો તે આતિશી સામે ચૂંટણી લડે છે તો તે સત્તા વિરોધી મતના દાવેદાર બની શકે છે, જેના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડી શકે છે.
સરકાર વિરોધી મતદારોની મૂંઝવણ
- કોંગ્રેસની પ્રથમ યાદીમાં બીજા ઘણા મજબૂત ઉમેદવારો દેખાયા છે. જેમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવનું નામ સામેલ છે, તે બાદલીથી ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ ખૂબ જ સમજી-વિચારીને એવા ઉમેદવારોની પસંદગી કરી છે કે જેઓ મજબૂત લડત આપી શકે અને પાર્ટી માટે બેઠકો મેળવી શકે.
- કોંગ્રેસ 1998 થી 2013 સુધી સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર હતી. તે પછી તેનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો. 2008માં પાર્ટીને 43% મત મળ્યા, જે 2013ની ચૂંટણીમાં ઘટીને 24.6% થઈ ગયા અને પાર્ટી માંડ માંડ 8 બેઠકો જીતી શકી.
- પરંતુ 2015 પછી એક રીતે AAPએ દિલ્હીમાં કોંગ્રેસને ઘૂંટણિયે લાવી દીધી. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 9.7% વોટ મેળવી શકી અને 2020માં તે તેનાથી પણ વધુ ઘટીને 4.3% પર પહોંચી. બંને ચૂંટણીમાં પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યુ.
- આજે પણ દિલ્હીમાં કોંગ્રેસનું સંગઠન ઘણું નબળું છે. આના ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંબંધોને લઈને મતદારોના મનમાં શંકા છે. દિલ્હીમાં જ તેના મોટા નેતાઓ ભાજપ વિરુદ્ધ મોટા મુદ્દાઓ પર આદમી પાર્ટી સાથે તાલ મિલાવતા જોવા મળે છે.
- આ સ્થિતિમાં તેની મજબૂતીથી લડવાનો મતલબ એ થશે કે જે મતદારો અનિર્ણાયક છે જેમને ફ્લોટિંગ વોટર કહેવામાં આવે છે, જો તેઓ સરકારની કાર્યવાહીને કારણે પોતાનો મત આપવા માંગે છે તો તેમના મતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ શકે છે. જેના કારણે ભાજપને જ વધુ નુકસાન થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
