Delhi Election 2025 : દિલ્હીની આ સીટો કેજરીવાલને સત્તામાંથી બહાર કરી શકે છે, જુઓ લિસ્ટ
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. હાલની સ્થિતીએ કેજરીવાલની આમ આદમી પાર્ટીને બીજેપી દ્વારા કાંટાની ટક્કર મળી શકે છે.
દિલ્હીમાં 2013 થી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માટે આ વખતે સત્તા બચાવવી મોટો પડકાર છે. કોંગ્રેસનું પ્રદર્શન સારૂ રહ્યું તો આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર પણ થઈ શકે છે.

દિલ્હી વિધાનસભાની ઘણી સીટો એવી છે જ્યાં ગઈ ચૂંટણીમાં સામાન્ય અંતરથી ઉમેદવારો જીત્યા હતા. આમ આદમી પાર્ટી જો આ સીટો ગુમાવશે તો તેની સ્થિતી નાજુક થઈ શકે છે.
2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ 9 માંથી 7 બેઠકો ઓછા માર્જિન સાથે જીતી હતી. આ બેઠકો બિજવાસન, છતરપુર, શાલીમાર બાગ, આદર્શ નગર, કસ્તુરબા નગર, કૃષ્ણ નગર અને પટપડગંજ છે. બાકીની 2 બેઠકો લક્ષ્મી નગર અને બદરપુર ભાજપના ખાતામાં ગઈ હતી.
આ 9 બેઠકોમાંથી 6 બેઠકો પર જીત કે હારનો તફાવત કોંગ્રેસને મળેલા મતો કરતા ઓછો હતો અને એક બેઠક પર બસપાને આના કરતા ઘણા વધુ મત મળ્યા હતા.
કોંગ્રેસને જીત કે હારના માર્જિન કરતાં વધુ મતો મળેલી બેઠકોમાં બિજવાસન, આદર્શ નગર, કસ્તુરબા નગર, કૃષ્ણ નગર, છતરપુર અને લક્ષ્મી નગરનો સમાવેશ થાય છે, જ્યારે બદરપુરમાં બસપાને જીત કે હારના માર્જિન કરતાં વધુ મતો મળ્યા હતા.
આ 9 બેઠકોમાંથી લક્ષ્મી નગરમાં 2015ની ચૂંટણીમાં એકદમ નજીકનો મુકાબલો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સામે માત્ર 4,846 મતોથી જીત મેળવી હતી. 2020 માં ભાજપ અહીં માત્ર 880 મતોથી જીત્યું હતું. બદરપુરમાં પણ ભાજપે AAP પાસેથી માત્ર 3,719 મતોથી બેઠક જીતી હતી. બસપાને અહીં ૧૦,૪૩૬ મત મળ્યા હતા. 2015માં AAP એ બદરપુરમાં 47,583 મતોના મોટા માર્જિનથી ચૂંટણી જીતી હતી.
2020 માં સૌથી નજીકનો મુકાબલો બિજવાસનમાં જોવા મળ્યો, જ્યાં આમ આદમી પાર્ટીએ ભાજપને માત્ર 753 મતોથી હરાવ્યું હતું. આદર્શ નગરમાં AAP ની જીતનું માર્જિન નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. 2020 માં પાર્ટી 1589 મતોથી જીતી હતી, જ્યારે 2015 માં જીતનું માર્જિન 20 હજારથી વધુ હતું.
આવી જ સ્થિતી પટપડગંજમાં હતી. અહીં 2015માં મનીષ સિસોદિયાને 28 હજારથી વધુ મતોથી જીત મળી હતી. જો કે 2020માં ફક્ત 3,207 મતોથી જીત મળી હતી. આ બે ચૂંટણીઓમાં આ બેઠક પર ભાજપની મતની ટકાવારી 33% થી વધીને 47% થઈ છે. આ જ કારણ છે કે આ વખતે સિસોદિયા સુરક્ષિત બેઠકની શોધમાં જંગપુરા પહોંચ્યા છે, જ્યાં ગઈ વખતે તેમની પાર્ટી 16 હજારથી વધુ મતોથી જીતી હતી.
બે ચૂંટણીઓમાં છતરપુર અને કસ્તુરબા નગરમાં પણ AAPનો ગ્રાફ ખૂબ જ નીચે ગયો છે. 2015માં પાર્ટીએ છતરપુરમાં 20 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી, જો કે 2020 માં જીતનું અંતર ઘટીને માત્ર 3720 મતો હતું.
કસ્તુરબા નગરમાં આમ આદમી પાર્ટી 2015 માં 15,896 મતોથી જીતી હતી અને 2020 માં તે ઘટીને 3,165 થઈ ગયું. આ પાંચ વર્ષોમાં કોંગ્રેસના મત 11 ટકાથી વધીને 21 ટકાએ પહોંચ્યા છે.
શાલીમાર બાગ અને કૃષ્ણા નગરમાં પણ AAPની લીડ ઘટતી જોવા મળી છે. શાલીમાર બાગમાં આમ આદમી પાર્ટીનું જીત માર્જીન 10,000 થી વધુ મતોથી ઘટીને માત્ર 3,440 મતો પર આવી ગયુ છે.
આવી જ રીતે કૃષ્ણા નગરમાં પણ 4,000 થી વધુ મતોથી જીત મળી હતી, આ 2020 માં ભાજપથી ફક્ત 2,277 મતો વધુ હતા.












Click it and Unblock the Notifications
