CAA વિરોધઃ કાલે રાજઘાટ પર કોંગ્રેસના ધરણા, સોનિયા-રાહુલ પણ રહેશે હાજર
નાગરિકતા કાયદાના વિરોધમાં કાલે કોંગ્રેસ પાર્ટી દિલ્લી સ્થિત રાજઘાટમાં ધરણા પ્રદર્શન કરશે.
નાગરિકતા કાયદા માટે દેશમાં સતત વિપક્ષી દળ સરકારની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. હવે નાગરિકતા કાયદાના વિરોધમાં કાલે કોંગ્રેસ પાર્ટી દિલ્લી સ્થિત રાજઘાટમાં ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસ પાર્ટીના આ ધરણામાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ શામેલ થઈ રહ્યા છે. રવિવારે રાજઘાટ પર યોજાનાર ધરણા પ્રદર્શન બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને સાંજે 8 વાગ્યા સુધી ચાલશે.
લોકતંત્રમાં જનતાનો અવાજ દબાવવો અયોગ્ય
આ પહેલા નાગરકિતા સુધારા એક્ટના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે શુક્રવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે. લોકતંત્રમાં જનતાનો અવાજ દબાવવો અયોગ્ય છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે ભાજપ સરકારની નીતિઓ દેશવિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણના હકમાં ઉભી છે. લોકતંત્રમાં લોકોમાં સરકારના નિર્ણયોની ખોટી નીતિઓના વિરોધમાં અવાજ ઉઠાવવા અને પોતાની ચિંતાઓ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. એ રીતે સરકારની પણ ફરજ છે કે તે નાગરિકોની વાતો સાંભળે અને તેમની ચિંતાઓ દૂર કરે.
કોંગ્રેસ પાર્ટી સરકારની હરકતોની પૂરજોરથી નિંદા કરે છે
સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દુઃખની વાત છે કે ભાજપ સરકારે લોકોના અવાજને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યો છે. અસંમતિના અવાજને કચડી દેવા માટે બર્બરતાથી તાકાતનો ઉપયોગ કર્યો છે. લોકતંત્રમાં આ બિલકુલ સ્વીકાર્ય નથી. કોંગ્રેસ પાર્ટી સરકારની હરકતોની પૂરજોરથી નિંદા કરે છે. ન્યાયની લડાઈમાં ભારતીય નાગરિકો અને પોતાના છાત્રો સાથે એકજૂટ થઈને ઉભી છે.
લોકોની આશંકાઓ સાચી અને વાજબી છે
તેમણે કહ્યુ નાગરિકતા સુધારા કાયદો ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની જેમ એકવાર ફરીથી એક-એક વ્યક્તિએ પોતાના અને પોતાના પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઈનમાં ઉભુ રહેવુ પડશે. રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તાવિત એનઆરસીથી નબળા અને અશક્ત વર્ગ સૌથી વધુ પ્રભાવિત થશે. લોકોની આશંકાઓ સાચી અને વાજબી છે. કોંગ્રેસ ભરોસો અપાવે છે કે તે લોકોના મૌલિક અધિકારની રક્ષા અને બંધારણના પાયાગત મૂલ્યોને બચાવવા માટે પ્રતિબદ્ધ છે.