સરદારની પ્રતિમા માટે દિગ્વિજય સિંહે મોદીને આપી શુભેચ્છા
ભોપાલ, 30 ઓક્ટોબર: સરદાર સરોવર ડેમ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની લોખંડની પ્રતિમા સ્થાપિત કરવાની યોજનાને લઇને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી છે.
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સિંહે આ અંગે મંગળવારે લખ્યું છે કે 'સરદાર સરોવર ડેમ ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છું.'
મોદીના આ ઐતિહાસિક કાર્ય બદલ તેમે શુભેચ્છા આપવાની સાથે સાથે દિગ્વિજય સિંહ ટિખળ કરવાનું ચૂક્યા નહીં, તેમણે લખ્યું કે 'આ એ જ સરદાર પટેલ છે જેમણે દેશના ગૃહમંત્રી રહેવાના નાતે કોમી હિંસા ભડકાવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધ લગાવ્યો હતો.'
કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું હતું કે રાજનીતિના ફાયદા અને નુકસાન એક બાજુ છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે દેશનો દરેક નાગરિક હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરે. તેમણે જણાવ્યું હતું કે 'આપણે ધ્યાન રાખવું પડશે કે એકતા વધારવા માટે રાજનીતિકરણ ના થાય અને હિન્દુ-મુસ્લિમમાં રમખાણો ના થાય.'
જોકે, દિગ્વિજય સિંહે 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરીને ટિકળ પણ કરી લીધી. તેમણે જણાવ્યું કે 'મારી નરેન્દ્ર મોદીજીને પ્રાર્થના છે કે જો તેઓ ખરેખર હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડતા ઇચ્છે છે તો 2002ના રમખાણ પીડિતોનું પુનર્વાસ કરે અને વીએચપીના લોકોને ઝેર ઓંકતા રોકે.'