રાજા ભૈયાની ધરપકડ પર યુપી સરકારે કહ્યું, 'થોડીક રાહ જૂઓ'
લખનઉ, 6 માર્ચઃ કુંડામાં ડીએસપી તરીકે તૈનાત જિલાઉલ હક હત્યાકાંડના મામલે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનું નામ આવ્યા બાદ તેમની ધરપકડ કરતા અચકાતી ઉત્તર પ્રદેશ સરકારે આખા મામલાની તપાસનો આદેશ સીબીઆઇને આપ્યા બાદ હવે આ મામલેથી તેણે પોતાના હાથ ખંખેરી લીધા છે. રાજા ભૈયાની ધરપકડને લઇને ઉદ્દભવેલો પ્રશ્ન હજુ યથાવત છે. રાજા ભૈયા વિરુદ્ધ સીઓની પત્ની દ્વારા હત્યાનું ષડયંત્ર કરવાની ફરિયાદ દાખલ કરાવ્યાને બે દિવસ પછી પણ રાજા ભૈયાની ધરપકડ કરવામાં આવી નથી અને ના તો કોઇ પૂછપરછ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવને જ્યારે મંગળવારે દિલ્હીમાં રાજા ભૈયાની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે હવે જે કરવું હશે તે સીબીઆઇ કરશે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રીતા બહુગુણા જોશીએ કહ્યું કે જો પંદર દિવસની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કુંડાથી લખનઉ સુધી ન્યાય માર્ચ કાઢશે. પરિવારજનો સાથેની મુલાકાત બાદ સીએમ અખિલેશ યાદવે પત્રકારોને કહ્યું કે અમે લોકો મૃતકોના પરિવારજનોને રોજગારી આપવામાં મદદ કરીશું. તેમણે કહ્યું કે પરિવારની એવી કોઇ માંગ નથી કે જેને અમે પૂર્ણ ના કરી શકીએ.
નોંધનીય છે કે કુંડા ક્ષેત્રના વલીપુર ગામમાં શનિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં ગામના પ્રધાન નન્હે સહિત બે લોકોની હત્યા કરવામાં આવી. ઘટના પર નિયંત્રિત કરવા પહોંચેલા કુંડાના સીઓ જિયા ઉલ હકની પર હિંસા દરમિયાન ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.