ગોવા વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો ચૂંટણી પંચનો આદેશ
ગોવામાં પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપના લોકો તમારી પાસે રોકડા લઇને આવશે, જો એ લોકો તમને 5000 રૂપિયા આપે, તો મોંઘવારીને ધ્યાનમાં રાખી તમે એમની પાસે 10,000 રૂપિયા માં
ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ જ મહિને ગોવામાં યોજાયેલી ચૂંટણી સંબંધિત એક રેલીમાં અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપના લોકો જો રોકડા લઇને તમારી પાસે મત માંગવા આવે તો પૈસા લઇ લેજો અને મત આમ આદમી પાર્ટીને આપજો!' હવે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર કડક પગલું ભર્યું છે.
EC directs necessary legal action be initiated by filing an FIR/complaint against Arvind Kejriwal for statements on & after 8 Jan in Goa
— ANI (@ANI_news) January 29, 2017
ચૂંટણી પંચે કેજરીવાલને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો તેઓ આ રીતે જ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને મુશ્કેલી ભોગવવી પડશે. સાથે જ ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવા જેવા કડક પગલા ભરવાની પણ ચીમકી આપી હતી. આ પહેલાં 16 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ તરફથી 'કારણ જણાવો'ની નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી.
તો સામે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચના આ નિર્ણયને અયોગ્ય ગણાવતાં ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છેઃ 'મારી વિરુદ્ધનો ચૂંટણી પંચનો નિર્ણય ખોટો છે. તેમણે ન્યાયાલયના આદેશ પર ધ્યાન નથી આપ્યું. હું ચૂંટણી પંચના આ નિર્ણયને ન્યાયાલયમાં પડકારીશ.'
અહીં વાંચો - યુપીની જનતાને ધ્યાનમાં રાખીને બનાવાયું છે ભાજપનું ઘોષણા પત્ર