કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે, 19મીં એ મતગણતરી!
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસમાં વિદ્રોહની સ્થિતી છે. આ સંઘર્ષને રોકવા અને નવા પ્રમુખની પસંદગી કરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
નવી દિલ્હી : વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસમાં વિદ્રોહની સ્થિતી છે. આ સંઘર્ષને રોકવા અને નવા પ્રમુખની પસંદગી કરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે.
ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસ અને તેના આગામી અધ્યક્ષના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પ્રશ્નોના નિવારણની સાથે સાથે આજે વર્ચ્યુઅલ માઘ્યમથી પક્ષમાં ચાલતી આંતરકલહને રોકવા અને નવા પ્રમુખની ચૂંટણીના આખરી કાર્યક્રમની ચર્ચા કરવા કાર્યસમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખની ચૂંટણીને લગતા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત એવી ચર્ચા ચાલી રહી હતી કે શું રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળશે કે નહીં?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાજરી આપીને વર્ચ્યુઅલ રીતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ CWCની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી હાલમાં મેડિકલ ચેકઅપ માટે વિદેશ પ્રવાસ પર છે અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે થોડા દિવસો પહેલા નવા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. કોંગ્રેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેના નવા અધ્યક્ષની ચૂંટણી આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. તો ત્યાં જ હવે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી થશે.