આંધ્રના CM જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો પુરી ઘટના
આધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ટેકઓફ બાદ અચાનક ખામી સર્જાતા વિમાનને લેન્ડ કરવાની ફરજ પડી હતી.
વિજયવાડા : આધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હોવાના અહેવાલ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિમાનમાં દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન અચાનક ખરાબી સામે આવતા પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પ્લેનનું ગન્નવરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવાયુ છે અને તમામ લોકો સુરક્ષિત છે.
સમાચારો અનુસાર, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી 2 દિવસના પ્રવાસે દિલ્હી રવાના થયા હતા. દિલ્હીમાં આધ્રપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કરાયું છે અને તેઓ આમાં સામેલ થવા માટે જવાના હતા. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, વિમાને ટેકઓફ કર્યા બાદ તરત જ ખરાબી સામે આવી હતી. જેને લઈને તાત્કાલિક વિમાનને ગન્નવરમ એરપોર્ટ પર લેન્ડ કરાયુ હતું.
આ સિવાય અન્ય એક ઘટનામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનનું કેરળના કોચીન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિગતો અનુસાર, આ પ્લેન શારજાહથી આવી રહ્યું હતું. કોચીન એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 193 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનના હાઇડ્રોલિક્સમાં ખામી સર્જાતા એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી અને રાત્રે લગભગ 8.26 કલાકે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર લેન્ડ કરાયુ.
વધુ એક ઘટનાની વાત કરીએ તો, રવિવારે લખનૌમાં એર એશિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. આ પ્લેને લખનૌથી કોલકાતા માટે ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ થતાની સાથે જ બર્ડ હિટ થયુ હતું. જે બાદ પ્લેનને તાત્કાલિક એરપોર્ટ પર લેન્ડ કરાવાયુ.