J&K: લશ્કર-એ-તોયબાનો કમાન્ડર અબુ દુજાના ઠાર
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તોયબાનો આતંકી અબુ દુજાના ઠાર મરાયો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામાના હક્રીપોરા ખાતે સુરક્ષાદળો અને લશ્કર-એ-તોયબાના આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં આતંકી સંગઠનનો કાશ્મીર કમાન્ડર અબુ દુજાના ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અબુ દુજાનાના માથે લાખો રૂપિયાનું ઇનામ હતું. તે ભૂતકાળમાં ઘણીવાર સુરક્ષાદળોના હાથમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર, સુરક્ષાદળોને આ વિસ્તારમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર સહિત 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
સીઆરપીએફની 182 બટાલિયન, 183 બટાલિયન, 55 રાષ્ટ્રીય રાયફલ અને એસઓજીની ટીમે એ વિસ્તારનો ઘેરાવો કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરતાં સુરક્ષાદળોને તેમના ઠેકાણાની જાણ થઇ હતી. આ અભિયાનમાં પકડાયેલા આતંકીઓમાં અબુ દુજાના પણ હતો. પુલવામામાં ગોળીબાર થોભતાં તેજ પથ્થરમારો શરૂ થયો હતો. બે દિવસ પહેલાં પુલવામાના તહાબ વિસ્તારમાં સુરક્ષાદળોના અભિયાનમાં હિજબુલના બે આતંકીઓ ઠાર મરાયા હતા.